
પહેલાં એક સ્પષ્ટતા – યુપીઆઈ કે ભારત ક્યૂઆર કોડ આધારિત પેમેન્ટ વ્યવસ્થા પોતે સંપૂર્ણ સલામત છે. પરંતુ આપણી પોતાની ગફલત કે ચૂકને કારણે તે જોખમી બની શકે છે. જ્યારે અન્ય પ્રકારના ઉપયોગ માટેના ક્યૂઆર કોડમાં જોખમો વધુ છે. આવા ક્યૂઆર કોડ આખરે તો ઇન્ટરનેટ પરની લિંકનું અલગ સ્વરૂપ છે. એટલે ઇન્ટરનેટની લિંકમાં જેટલાં જોખમો હોય એ બધાં ક્યૂઆર કોડને લાગુ પડે છે.
આગળ જણાવેલા, કોડના અન્ય ઉપયોગ ફરી વાંચશો તો સમજાશે કે આ ઉપયોગી સુવિધા કઈ કઈ રીતે જોખમી બની શકે છે. ક્યૂઆર કોડ તેના નામ પ્રમાણે ક્વિક રિસ્પોન્સ કોડ છે અને માત્ર નરી આંખે જોવાથી તે આપણને કઈ લિંક પર લઈ જશે એ જાણી શકાતું નથી. આથી બેધ્યાનપણે કોઈ પણ ક્યૂઆર કોડ સ્કેન કરવામાં ચોક્કસ જોખમ છે. બદઇરાદો ધરાવતી વ્યક્તિ ક્યૂઆર કોડની મદદથી આપણને ખોટા વેબ પેજ પર લઈ શકે છે કે આપણા ફોનમાં કંઈ પણ ડાઉનલોડ કરી શકે છે.
યુપીઆઇનો અસલી કોડ હેક થઈ શકતો નથી, કારણ કે તેમાં લિંક પછી કોઈ રીતે બદલી શકાતી નથી. અન્ય પ્રકારના કોડ સ્ટેટિક હોય કે ડાયનેમિક હોય, હેકિંગ શક્ય નથી, પણ બીજું જોખમ ચોક્કસ છે. ડાયનેમિક પ્રકારના કોડ જનરેટ થયા પછી અને કોડ કોઈ જગ્યાએ પ્રિન્ટ થઈ જાય એ પછી પણ, કોડ કયા વેબપેજ પર લઈ જશે તે લિંક બદલી શકાય છે.

આથી જો એ કોડ જનરેટ કરનારી સર્વિસ પોતે હેક થાય કે કોડ જનરેટ કરનારની દાનત બગડે તો તેના કોડ નવા જોખમી પેજ પર દોરી જઈ શકે. કોઈ કોડ સ્કેન કરતાં ફોનનું માઇક, કેમેરા, જીપીએસ એક્ટિવેટ થાય અને હેકરને લાઇવ ફીડ મળે એવું થઈ શકે છે! ઉપરાંત, જાહેર સ્થળોએ સાચા કોડની ઉપર બનાવટી અને ફિશિંગ સાઇટ પર દોરી જતો કોડ પેસ્ટ કરીને પણ કોડનું સીધું સાદું ‘હેકિંગ’ થઈ શકે છે. ઘણી વેબસાઇટ પર, ફક્ત વિઝિટ કરવાથી, કંઈ ક્લિક કર્યા વિના પણ માલવેરનું ડાઉનલોડિંગ ચાલુ થઈ શકે છે એ યાદ રાખવા જેવું છે.
યુપીઆઈ ક્યૂઆર કોડની વાત કરીએ તો આવો કોડ સ્કેન કરવાથી એ કોડ જે વેપારીનો હોય તેને માત્ર આપણો યુપીઆઇ આઈડી, ટ્રાન્ઝેક્શન આઇડી, બેન્ક ખાતાના છેલ્લા ચાર અંક જેવી બહુ ઓછી વિગત મળે છે.
અન્ય પ્રકારના ક્યૂઆર કોડમાં પણ ક્યૂઆર કોડ જનરેટ કરનાર સોફ્ટવેર તેને સ્કેન કરનાર વ્યક્તિની ઓળખ છતી થાય તેવો કોઈ ડેટા કલેક્ટ કરતા નથી. પરંતુ આવા ક્યૂઆર કોડ તે ક્યાં સ્કેન થયા, કઈ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતી ડિવાઇસથી સ્કેન થયા, ક્યા સમયે અને કેટલી વાર સ્કેન થયા એ બધી વિગતો એ ક્યૂઆર કોડ જનરેટ કરનારી સર્વિસ મારફત જેણે કોડ જનરેટ કર્યો હોય તે વ્યક્તિ જાણી શકે છે. ઘણી રેસ્ટોરાંમાં હવે મેનૂ માટે પણ ક્યૂઆર કોડનો ઉપયોગ થવા લાગ્યો છે.
આવા કોડ આખરે મેનૂના વેબ પેજ પર લઈ જાય છે આથી તેમાં આપણા ઓર્ડરની વિગતો અને હિસ્ટ્રી સચવાઈ રહે છે.
યુપીઆઇ કે ભારત ક્યૂઆર કોડ સ્કેન કરતાં જે નામ જોવા મળે તેની દુકાનદાર સાથે ખાતરી કરો અને રકમ તપાસો તો એટલું પૂરતું છે. અન્ય પ્રકારના ક્યૂઆર જે લિંક પર લઇ જાય એ જોખમી હોઈ શકે છે. આથી આવા કોઈ પણ કોડ આંખ મીંચીને સ્કેન કરશો નહીં. અખબારની જાહેરાત કે જાહેરખબરના ફરફરિયામાં કોઈ ક્યૂઆર કોડ હોય તો એ કંપની ભરોસાપાત્ર છે કે નહીં તે પહેલાં જુઓ. જાહેર જગ્યાઓએ મૂકેલા કોડ સ્કેન કરવામાં ખાસ સાવચેત રહો.
સામાન્ય રીતે ક્યૂઆર કોડ સાથે સાદા શબ્દોમાં તેની લિંક આપણને ક્યાં દોરી જાય છે તે લખવાનો ધારો છે, આવું લખાણ ન હોય તો વધુ સાવધાન રહો. સદનસીબે હવે મોટા ભાગના સ્કેનરમાં કોડ સ્કેન કરવાથી, પહેલાં તેની આખી લિંક જોવા મળે છે. પ્રીવ્યૂની સગવડ ન આપતા સ્કેનરથી કોઈ કોડ સ્કેન કરશો નહીં. કોડ સ્કેન કર્યા પછી જે પેજ ખૂલે તેમાં કોઈ પણ પ્રકારની મહત્ત્વની માહિતી આપતાં પહેલાં અચૂક વિચાર કરશો.
