તમારા કોઈ નજીકના સ્વજનને આકસ્મિક સ્થિતિમાં લોહીની જરૂર ઊભી થાય અને હોસ્પિટલમાં એમને જરૂરી બ્લડ ગ્રૂપનું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે એ ગ્રૂપના રક્તદાતા શોધવાનું કામ આપણી ઉપર આવી પડે છે. આવા સંજોગમાં સોશિયલ મીડિયા બહુ ઉપયોગી થઈ શકે છે.
સામાન્ય રીતે ફેસબુક પર આપણા ફ્રેન્ડઝ કે વોટ્સએપ-હાઇક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગની સર્વિસીઝમાં વિવિધ ગ્રૂપમાં આપણે લોહીની જરૂરિયાતનો મેસેજ મૂકીએ એ સાથે સંખ્યાબંધ લોકો સ્વૈચ્છાએ મદદ કરવાની તત્પરતા દર્શાવતા હોય છે. ફેસબુકે આ આખી વાતને જરા વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
ઘણાં દેશોની જેમ ભારતમાં લોહીની હંમેશા અછત રહે છે. દરરોજ હોસ્પિટલ્સમાં જેટલા પ્રમાણમાં લોહીની જરૂરિયાત હોય છે એટલા પ્રમાણમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ તરફથી રક્ત મળતું નથી. એબી નેગેટિવ અને ઓ નેગેટિવની તો હંમેશા ખેંચ રહેતી હોય છે.
આ બધું ધ્યાને રાખીને ફેસબુકે રક્તદાન કરતા લોકો અને આ માટે કાર્યરત સંસ્થાઓને એકબીજાના જીવંત સંપર્કમાં રાખવા માટે એક નવું ટૂલ વિકસાવ્યું છે.
પહેલી ઓક્ટોબરના રાષ્ટ્રીય રક્તદાતા દિનથી ફેસબુકમાં લોકો રક્તદાતા તરીકે પોતાનું નામ નોંધાવી શકે તેવી સગવડ ઉમેરાઈ છે. લોકોને આ માટે પ્રોત્સાહિત કરવા ફેસબુકે ન્યૂઝફીડમાં આ વિશેના મેસેજ બતાવવાનું પણ શરૂ કર્યું છે. ફેસબુક ભારપૂર્વક કહે છે કે, રક્તદાન સંબંધિત આપણે આપેલી આ વિગતો ખાનગી રહે છે અને માત્ર આપણે તે જોઈ શકીએ છીએ. જોકે જો આપણે ઇચ્છીએ તો પોતાની ટાઇમલાઇન પર રક્તદાતા તરીકેનું આપણું સ્ટેટસ દર્શાવી શકીએ છીએ.
બીજી તરફ ફેસબુક બ્લડબેન્ક્સ અને હોસ્પિટલ્સ, ફેસબુક પર રજિસ્ટર્ડ રક્તદાતાઓ સાથે સહેલાઇથી સંપર્ક કરી શકે એવી વ્યવસ્થા વિકસાવી રહી છે.
ફેસબુકના કહેવા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થાને રક્તની જરૂર ઊભી થાય ત્યારે તેઓ રક્તદાતા માટે જરૂરી તમામ માહિતી સાથેની એક ખાસ પોસ્ટ ક્રિએટ કરી શકે છે. જ્યારે આવી વિનંતી ક્રિએટ કરવામાં આવે ત્યારે ફેસબુક પોતે એ વિનંતી જ્યાંથી પોસ્ટ કરવામાં આવી હોય ત્યાંની આસપાસના રક્તદાતાઓને એ વિશે નોટિફિકેશન મોકલે છે.
રક્તદાતાઓ આ વિનંતી જોયા પછી જો રક્તદાન કરવા ઇચ્છતા હોય તો તેઓ પોસ્ટમાં આપેલી સંપર્ક વિગતો મુજબ વોટ્સએપ, મેસેન્જર કે ફોનકોલ કરીને રક્તદાન કરવાની પોતાની ઇચ્છા બતાવી શકે છે. અલબત્ત, જેને રક્તની જરૂર હોય તે વ્યક્તિ પોતે રક્તદાતા વિશેની કોઈ માહિતી જોઈ શકતી નથી. સિવાય કે રક્તદાતા પોતે એ વ્યક્તિનો સંપર્ક કરીને પોતાની વિગતો આપે.
૧. ફેસબુક આ પ્રકારની પોસ્ટ બતાવી લોકોને રક્તદાતા તરીકે વિગતો આપવા પ્રોત્સાહિત કરે છે
૨. facebook.com/donateblood પર જઈને આપણે આ રીતે આપણી માહિતી આપી શકીએ છીએ.
૩. જે વ્યક્તિ રક્તદાતા શોધતી હોય તે પોતાની ટાઇમલાઇનમાં, જરૂરી બ્લડ ગ્રૂપ, કઈ હોસ્પિટલ/બ્લડબેન્કમાં રક્તદાન કરી શકાશે, કઈ તારીખે જરૂર છે, રક્તદાતાએ કોનો સંપર્ક કરવો વગેરે માહિતી સાથેની પોસ્ટ મૂકવાની રહે છે. ફેસબુક આ પોસ્ટને પબ્લિક પોસ્ટ બનાવશે અને લોકેશન સર્વિસ તથા અન્ય રીતો કામે લગાડી, નજીકમાં ઉપલબ્ધ રક્તદાતાને આ અંગે નોટિફિકેશન મોકલી આપશે.
૪. જો તમે ફેસબુકમાં રક્તદાતા તરીકે વિગતો આપી હશે તો તમને આવું નોટિફિકેશન મળી શકે છે.
૫. જેને રક્તની જરૂર છે તેમણે આપેલી વિગતો તમે જોઈ શકશો, તમારી વિગતો એ જોઈ શકશે નહીં.

૬. તમે ઇચ્છો તો એ વ્યક્તિનો સંપર્ક કરીને રક્તદાન માટે તૈયારી દર્શાવી શકો છો.

