માણસના લોહીનાં ચાર ગ્રૂપથી માંડીને લોહી શરીરમાં કેવી રીતે ફરે છે, તેની જાણકારી અત્યારે સાવ સામાન્ય ગણાય છે, પણ સાડા ત્રણ સદી પહેલાંના ડોક્ટર એ વિશે સદંતર અંધારામાં હતા.
એ વખતે, વ્યાપક માન્યતા પ્રમાણે, ફ્રાન્સના રાજા લુઈ ચૌદમાના ડોક્ટર ડેનીસે ૧૫ વર્ષના એક છોકરાને પહેલી વાર લોહી ચડાવવાનો અખતરો કર્યો. એ લોહી જોકે માણસનું નહીં, પણ ઘેટાનું હતું. છોકરો બચી ગયો એટલે અખતરામાં રહેલો ખતરો સમજાયો નહીં.
પણ થોડા પ્રયોગો પછી ખ્યાલ આવ્યો કે ઘેટાનું કે બીજા પ્રાણીનું લોહી વધારે પ્રમાણમાં દાખલ કરવામાં આવે એટલે માણસનું શરીર તેની સામે બંડ પોકારે છે અને દર્દીનું છેવટે મૃત્યુ થાય છે. એવા કરુણ પ્રસંગો વધ્યા પછી આવા લોહિયાળ તુક્કા પર દોઢેક સદી સુધી પૂર્ણવિરામ મુકાઈ ગયું. પૂરતી વૈજ્ઞાનિક જાણકારી ઉપલબ્ધ બન્યા પછી લોહી ચડાવવાનો સદીઓ જૂનો તુક્કો હવે તીર બની ચૂક્યો છે.
લોહી ચડાવવાના પ્રયોગોનો આશ્ચર્યજનક ઇતિહાસ: http://www.ishim.net/Articles/Blood%20Transfusion%20in%20History.pdf
