
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાના દરેક સજીવ અને તેની સાથે જોડાયેલાં તમામ ક્ષેત્રોમાં પરિવર્તનનો પવન ફૂંકવા તત્પર છે. યંત્રની મનુષ્ય પરના આધિપત્યની ભવિષ્યવાણી સાચી ન ઠરે તથા તેનો યોગ્ય ઉપયોગ થાય તેવું જો ઇચ્છતા હોઈએ તો આ વિષય સાથે જોડાયેલી તમામ બાબતો આપણે જાણવી ખૂબ જરૂરી છે. હાલમાં જ અબુધાબી સ્થિત થ્રીએઆઇ હોલ્ડિંગ લિમિટેડ અને એસએમએલ ઇન્ડિયા દ્વારા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સપોર્ટથી જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હનુમાન એઆઇ ભારતમાં લોન્ચ થયું છે.
હનુમાનજી મહારાજની અષ્ટ સિદ્ધિઓની શકિત જેમ આ ચેટબોટ પણ ભારે શક્તિશાળી છે. પરંતુ પહેલાં તો એ પ્રશ્ન થાય કે આ ચેટબોટ શું છે? ‘સાયબરસફર’ના જૂના વાચકોનો તેનો ઘણા સમયથી પરિચય છે, અત્યારે એ શબ્દ વધુ ગાજ્યો છે.
મિત્રો, ચેટબોટ એક સોફ્ટવેર એપ્લિકેશન છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદથી ડેવલપર દ્વારા પહેલેથી નિર્ધારિત કરેલા સવાલના જવાબ આપે છે. ચેટબોટ દ્વારા આપવામાં આવતા જવાબ ઝડપી, ચોક્કસ, ભૂલરહિત અને સ્વયંસંચાલિત હોય છે.
મોટા ભાગે બે પ્રકારના ચેટબોટ હજુ અસ્તિત્વમાં આવ્યા છે ઃ
- રૂલ આધારિત ચેટબોટ અને
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટબોટ

હનુમાન એઆઇ ચેટજીપીટી જેવો જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોટ છે. તે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરે છે અને ૧૨ ભારતીય ભાષાઓ સહિત ૯૮ વૈશ્વિક ભાષાઓમાં જવાબ આપી શકે છે. આ પ્લેટફોર્મને ટેક્નોલોજીના ક્ષેત્રમાં દેશના વિકાસમાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. અત્યારે, તે ફક્ત લખાણના સ્વરૂપમાં જ જવાબ આપી શકે છે. હજુ જેમ હનુમાનને તેની શક્તિઓનું જાંબુવાન દ્વારા ભાન કરાવતાં તેમણે પોતાના સામર્થ્યનો પરચો આપ્યો હતો એમ જ આ ટૂલમાં હજુ ઘણી ક્રાંતિ આવી શકે છે.
આ ટૂલનું લક્ષ્ય વહીવટ, આરોગ્ય, નાણાકીય સેવાઓ અને શિક્ષણ સહિત અન્ય ઘણાં ક્ષેત્રોમાં સેવાઓ આપવાનું છે. એઆઇ અને ચેટબોટનો જે રીતે અને જે હેતુથી ઉપયોગ થવો જોઈએ તેનાથી હજુ પણ સરેરાશ ભારતીય અજાણ છે. તેથી આ ટૂલનો એક ઉદ્દેશ્ય તમામ ભારતીયો માટે કોઈ પણ એઆઇનો ઉપયોગ કરવાનું સરળ બનાવવાનો પણ છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હનુમાનનું લક્ષ્ય પ્રથમ વર્ષમાં ૨૦૦ મિલિયન વપરાશકર્તાઓ સુધી પહોંચવાનું છે. તે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એપ સ્ટોર તેમજ ઓફિશિયલ વેબસાઇટ (https://www.hanooman.ai/) પર પહેલેથી જ ઉપલબ્ધ છે. હાલમાં આ ચેટબોટનું આલ્ફા એટલે કે એકદમ પ્રારંભિક વર્ઝન ઉપલબ્ધ છે.
હનુમાન એઆઇ તરીકે ઓળખાતા આ ટૂલનો એક ઉદ્દેશ્ય તમામ ભારતીયો માટેકોઈ પણ એઆઇનો ઉપયોગ કરવાનું સરળ બનાવવાનો પણ છે.
હનુમાન ચેટબોટ વૈશ્વિક ભાષાઓ જેવી કે અંગ્રેજી, સ્પેનિશ, ઇટાલિયન, જર્મન, જાપાનીઝ, કોરિયન વગેરે તથા ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, કન્નડ, ઉડિયા, પંજાબી, આસામી, તમિલ, તેલુગુ, મલયાલમ અને સિંધીમાં હાલમાં ઉપલબ્ધ છે. તેથી, તેનો ઉપયોગ દરેક ભારતીય સરળતાથી કરી શકે છે.
હનુમાન ચેટબોટ મોટા ભાષા મોડેલ પર આધારિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ છે. જે સ્પીચ ટુ ટેક્સ્ટ સેવા (એટલે કે તમે જ્યારે બોલો છો ત્યારે લખાણ સ્વરૂપે તે ચેટબોટ પર લખાઈ જાય છે અને ઇન્ટરનેટ પર મુકાયેલા વિશાળ ડેટાના આધારે તેને તમારો સવાલ સમજાઈ પણ જાય છે) માટે જાણીતો છે.
આ ચેટબોટ મોટા સ્તરના ડેટાના આધારે કામ કરે છે. આ મોડેલ ડેટા ફીડમાંથી શીખીને સ્વયં સંચાલિત પ્રતિભાવ આપે છે. આ હનુમાન ચેટબોટ ઓપન એઆઇ અને ગૂગલ જેમીની એઆઇને ટક્કર આપવા માટે બનાવવામાં આવ્યું છે. તેના નામ અનુસાર જ આ ટૂલ વિશ્વ માટે એક શક્તિશાળી સાધન બનવા પૂરતું સક્ષમ છે. હનુમાન એઆઇ હમણાં જ લોન્ચ થયું હોવા છતાં તે ઘણા ચેટબોટ્સનું સ્થાન લઈ રહ્યું છે.
આપણી રોજિંદી જીવનશૈલીમાં હનુમાન એઆઇ જેવા ચેટબોટનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. ચાલો તેમાંથી કેટલાકને તપાસીએ-
આપણા કામના કલાકો ઘટાડીને તે વધુ કાર્યક્ષમતા તરફ દોરી જાય છે.

આ ચેટબોટનો ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા પ્રશ્નોને કોઈ પણ સમયે તેમાં દાખલ કરીને તરત જ પરિણામ મેળવી શકાય છે.
તેનો ઉપયોગ કરવા માટે કોઈ વિશેષ કૌશલ્યોની જરૂર નથી અને કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ સરળતાથી કરી શકે છે કારણ કે તે સામાન્ય ચેટ જેવું જ છે. વધુમાં, પ્રતિભાવ સમય અમુક સેકન્ડથી લઈને વધુમાં વધુ એક મિનિટ સુધીનો ઝડપી છે. જે કાર્યો પરંપરાગત રીતે મનુષ્યો દ્વારા કરવામાં આવે ઘણો સમય લાગી શકે તેને તે સાવ ઓછા સમયમાં અને ઓછા પ્રયત્નો સાથે પૂર્ણ કરે છે.
આવા ચેટબોટ પાસે જ્ઞાનનો વિશાળ ભંડાર પડ્યો છે જેનો તે ખૂબીપૂર્વક ઉપયોગ કરે છે. માત્ર પ્રશ્ન પૂછવા જ નહીં, પરંતુ તેનો ઉપયોગ વિવિધ કાર્યો માટે થઈ શકે છે- જેમ કે સારાંશ, અનુવાદ અને પ્રોગ્રામિંગ. આ ચેટબોટ “ભાષા” મોડેલ પર આધારિત હોવાથી ઘણી વાર તેનો ગણતરી માટે યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી.
આજના જમાનામાં કાઉન્સેલિંગ ખૂબ અગત્યનું બની રહ્યું છે ત્યારે આવા ચેટબોટનો ઉપયોગ વ્યક્તિ પરામર્શક અથવા એકલતા નિવારવા માટે વાત કરવા માટે પણ થઈ શકે છે. તેઓ વપરાશકર્તાના પ્રશ્નો અને વાર્તાલાપ અનુસાર જવાબ આપે છે.
આ પ્રકારના ચેટબોટ તમને સંતોષ ન થાય ત્યાં સુધી જવાબ આપે છે, પણ તેમની પાસે કોઈ લાગણી કે સહાનુભૂતિ નથી તે ખાસ યાદ રાખવું રહે.
આ પ્રકારના ચેટબોટ તેઓ તમારી સાથે ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી તમે એવી બાબતોથી સંતુષ્ટ ન થાઓ કે જે તમે માણસ સાથે કરવામાં થોડો સંકોચ અનુભવો છો. વધુમાં, લોકો તેમની સાથે તેઓ ઇચ્છે તેમ આ ચેટબોટ વાત કરી શકે છે. જોકે તે યાંત્રિક રીતે પ્રતિભાવ આપે છે અને તેની પાસે કોઈ લાગણી કે સહાનુભૂતિ નથી તે ખાસ યાદ રાખવું રહે.
હનુમાન એઆઇનો ઉપયોગ તમામ ઉંમરના લોકો સરળતાથી કરી શકે છે. તમારી સમસ્યા, પૃચ્છા, ઈચ્છા અથવા પ્રશ્ન દાખલ કરો અને તે ઝડપથી ચોક્કસ જવાબો જનરેટ કરશે. આજના યુગમાં એઆઇ ચેટબોટ એ એક શક્તિશાળી સાધન છે જે વ્યાપાર કામગીરીને સુવ્યવસ્થિત કરવામાં અને ઉત્પાદકતામાં સુધારો કરવામાં મદદ કરે છે. જેટલું તમે વિગતવાર વર્ણન કરી શકો એટલો સરસ જવાબ આ ચેટબોટ જનરેટ કરે છે.
તો રાહ શેની જુઓ છો લગાવો એક હનુમાન કૂદકો અને પહોંચી જાવ ચેટબોટ પાસે અને આજે જ નિકાલ લાવો તમારા મૂંઝવતા પ્રશ્નોનો!


