હમણાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ સૂચન કર્યું કે ભારતના યુવા વર્ગે અઠવાડિયામાં ૭૦ કલાક કે વધુ કામ કરવું જોઈએ. ઘણાએ આ વાતને સમર્થન આપ્યું તો ઘણાએ કહ્યું કે વધુ કલાક નહીં, સ્માર્ટ રીતે કામ કરતાં શીખવાની જરૂર છે.
કંઈક આવી જ ચર્ચા પાંચેક વર્ષ પહેલાં પણ ચાલી હતી.

એ સમયે, એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગરવાલે પોતાની ટીમને એક ઇમેઇલ મોકલ્યો તેણે પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી. તેમણે પોતાની ટીમને સલાહ આપી કે તેઓ સાંજના ૬થી સવારના ૮ દરમિયાન ઓફિસના કામકાજને લગતા ઇમેઇલ્સ કે ફોન કોલ્સના જવાબ આપવાનું બંધ કરી દે અને કામ તથા જીવન વચ્ચે તંદુરસ્ત સંતુલન સાધવાનો પ્રયાસ કરે (ભગવાન આવા બોસ સૌને આપે!).
અમિત અગરવાલ એમેઝોનના સ્થાપક અને સીઇઓ જેફ બેઝોસના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે. જેફ બેઝોસ પોતાની ટીમ પાસેથી બહુ આકરી રીતે કામ કઢાવવા માટે જાણીતા છે. અમિત અગરવાલનો પેલો ઇમેઇલ ફક્ત તેમની ટીમ પૂરતો હતો પરંતુ તે લીક થયા પછી સોશિયલ મીડિયામાં જબરી ચર્ચા જાગી હતી.
એક તરફ ભારત આખી દુનિયા માટે સ્માર્ટ ટેકનોલોજિસના સૌથી મોટા માર્કેટ તરીકે અને ડેવલપમેન્ટ હબ તરીકે વિકસી રહ્યું છે પરંતુ બીજી તરફ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો આ જ કારણે ભયંકર તણાવ હેઠળ આવી રહ્યા છે.
એ સમયે એટલે કે પાંચેક વર્ષ પહેલાં બેંગાલુરુના એક જાણીતા સાઇકિયાટ્રિસ્ટે કહ્યું હતું કે આજકાલ તેઓ માંડ ૨૫ કે ૨૮ વર્ષના લોકોને હાર્ટ એટેકનો ભોગ બનતા જોઈ રહ્યા છે, જે તેમણે ચાર દાયકાની તેમની કારકિર્દીમાં ક્યારેય જોયું નથી. અત્યારે ૩૦થી ૫૦ વર્ષના લોકોમાં હાર્ટ એટેક સામાન્ય થવા લાગ્યા છે.
અમિત અગરવાલે પેલો ઇમેલ લખ્યો એ પહેલાં, ગૂગલના એક ઉચ્ચ અધિકારીએ પણ જીવન અને કામકાજ વચ્ચેનું સંતુલન જાળવવાના હેતુથી પોતાની નોકરી છોડી હતી અને પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરતો એક ઓપન લેટર પણ તેમણે લખ્યો હતો.
વાત કદાચ માત્ર ટેકનોલોજી જગત પૂરતી સીમિત નથી. આજે આપણે સૌ દિવસના ૨૪ કલાકમાં શક્ય એટલું વધુ મેળવી લેવા માગીએ છે અને સ્માર્ટફોન કે ઇન્ટરનેટ એમાં આપણને ભરપૂર મદદ પણ કરે છે.
સ્માર્ટફોન અને ઇન્ટરનેટથી તમારા જીવન પર શી અસર થઈ છે? એવા સીધાસાદા સવાલના બે જવાબ હોઈ શકે છે. આ બંને ટેકનોલોજીથી એક તરફ આપણે સતત આખી દુનિયાના સંપર્કમાં રહી શકીએ છીએ અને બીજી બાજુ મોટી તકલીફ એ પણ છે કે આ બંનેથી દુનિયા આખીના લોકો આપણે ન ઇચ્છતા હોઇએ ત્યારે પણ આપણો સંપર્ક કરી શકે છે!
અગાઉ કોઈ વ્યક્તિ ઇચ્છે તો પણ સહેલાઇથી પોતાના ઘેર કે ઓફિસમાં બેસીને ઓસ્ટ્રેલિયા કે કેનેડાના ક્લાયન્ટ્સ માટે કામ કરી શકતી નહોતી. હવે એવી કોઈ ભૌતિક સીમાઓ રહી જ નથી. પરંતુ જીવનમાં ખુશાલી ટકાવી રાખવી હશે, તો આપણે ટેકનોલોજીના ઉપયોગની એક નિશ્ચિત સીમા તો અચૂક બાંધવી પડશે. તમે બોસ હો કે કર્મચારી, તમારી ઓફિસમાં અમિત અગરવાલના વિચાર પર અમલ કરવાની કમ સે કમ ચર્ચા તો જરૂર કરી શકો!

