થોડા સમય પહેલા ટ્વીટર પર એક મુદ્દાએ ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી.
હૈદ્રાબાદના એક ન્યૂરોલોજિસ્ટે તેમનાં ૩૦ વર્ષનાં મહિલા પેશન્ટનો કેસ ટ્વીટર પર શેર કર્યો. ડોકટરે લખ્યું કે એ પેશન્ટને દોઢેક વર્ષથી દૃષ્ટિને સંબંધિત તકલીફો હતી. ક્યારેક તેમને આંખમાં પ્રકાશના ઝબકારા દેખાતા હતા તો ક્યારેક દેખાવાનું ધૂંધળું થઈ જતું હતું.

આવું કેટલીક સેકન્ડથી લઇને મિનિટો સુધી ચાલતું અને ઘણી વાર ૧૦-૧૫ મિનિટના અંતરાલમાં આવી તકલીફ થતી હતી. ક્યારેક તેઓ અડધી રાતે ઊઠે તો થોડી મિનિટ સુધી તેમને કશું જ દેખાય નહીં તેવું પણ થતું હતું. ડોકટરે પોતાની ટ્વીટસના થ્રેડમાં લખ્યું કે આ કેસ ‘સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમ’ને લગતો હતો.
ડોકટરની આ ટ્વીટ ખાસ્સી વાયરલ થઈ અને નિષ્ણાતોમાં તેની ચર્ચા પણ ચાલી. અમુક નિષ્ણાતોનો મત હતો કે અત્યારના સમયમાં લોકોનો સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ‘સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમ’ જેવા શબ્દો સનસનાટી જગાવે તે સ્વાભાવિક છે. વાસ્તવમાં સ્માર્ટફોનના ઉપયોગથી આવી તકલીફ સર્જાતી નથી.
જોકે એક વાતે લગભગ બધા ડોકટર સહમત છે કે સ્માર્ટફોનના વધુ પડતા અને ખોટી રીતે થતા ઉપયોગથી આંખની વિવિધ પ્રકારની તકલીફો ચોક્કસ સર્જાઈ શકે છે.
થોડા આંકડા જોઈએ તો…
- એક અભ્યાસ મુજબ ભારતમાં વર્ષ ૨૦૧૯માં આપણે સહુ એક દિવસમાં સરેરાશ ૩.૭ કલાક સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલા રહેતા હતા.
- એ પછીના વર્ષે ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન સ્માર્ટફોનનો વપરાશ વધીને એક દિવસના ૪.૫ કલાક થઈ ગયો.
- પછીના વર્ષે, ૨૦૨૧માં આ આંકડો હજી વધીને ૪.૭ કલાક થયો.
યાદ રહે કે દિવસના ૨૪ કલાકમાં આપણે ૮-૧૦ કલાક તો ઉંઘવામાં વિતાવીએ છીએ!

એ પણ ધ્યાન આપવા જેવું છે કે મોડી સાંજે અને મોડી રાત સુધી અંધારામાં કે અપૂરતા પ્રકાશમાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેને કારણે આંખ અને આપણા માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર થાય છે.
જ્યારે ડિજિટલ સ્ક્રીન્સનો ઉપયોગ વધુ પડતો વધી જાય ત્યારે અપૂરતી ઊંઘની સ્થિતિ સર્જાય છે અને તેની સીધી અસર આપણા માનસિક અને સર્વાંગી સ્વાસ્થ્ય પર પડે છે.
આંખની તકલીફોથી બચવા માટે નિષ્ણાતો ૨૦-૨૦-૨૦ ના નિયમનું પાલન કરવાની ભલામણ કરે છે. શું છે આ નિયમ?
લેખની શરૂઆતમાં જે ૩૦ વર્ષની મહિલા પેશન્ટની વાત કરી તે મહિલા રોજેરોજ આઠથી દસ કલાક સ્માર્ટફોન પર વિતાવતી હતી. આપણી આંખો જ્યારે સતત, લાંબા સમય સુધી હાથમાં રહેલા સ્માર્ટફોનમાં પરોવાયેલી રહે ત્યારે પાંપણ પટાવવાનું પ્રમાણ ઘટી જાય છે, તેને પરિણામે આંખોમાં પ્રવાહી રહેવાનું પ્રમાણ પણ ઘટી જાય છે. આંખ કોરી રહેવાથી દૃષ્ટિ ધૂંધળી બની શકે છે.
ઘણી વાર લોકો પથારીમાં આડા પડ્યા પડ્યા સ્માર્ટફોનમાં વીડિયો જોતા રહે છે. આવી સ્થિતિમાં ક્યારેક એક આંખની નજર ઓશિકાથી બ્લોક થાય છે અને બીજી આંખ પર સતત સ્ક્રીન લાઇટનો મારો થતો રહે છે. તેનાથી પણ સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉપાય શો છે?
સ્માર્ટફોનને કારણે સર્જાતી આંખની તકલીફો ટાળવાનો એક સૌથી સહેલો અને એક સૌથી સચોટ ઉપાય સ્માર્ટફોનનો ઉપયોગ ઘટાડવાનો છે!
અભ્યાસ કે ઓફિસના કામ માટે અનિવાર્ય હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ એ પછી શક્ય હોય ત્યાં સુધી ફોન બાજુએ મૂકી દેવો જોઈએ.
આંખની તકલીફોથી બચવા માટે નિષ્ણાતો ૨૦-૨૦-૨૦ના નિયમનું પાલન કરવાની ભલામણ કરે છે. તમે ઓફિસમાં કમ્પ્યૂટર પર કામ કરતા હો કે સતત મોબાઇલમાં પરોવાયેલા હો ત્યારે ઓછામાં ઓછી દર ૨૦ મિનિટે વીસેક ફૂટ દૂર રહેલી દીવાલ પર ૨૦ સેકન્ડ સુધી નજર સ્થિર રાખવાથી આંખને આરામ મળી શકે છે.
સાંજના સમયે સ્માર્ટફોનનો ઉપયોગ અનિવાર્ય હોય તો પૂરતા પ્રકાશિત રૂમમાં જ તેનો ઉપયોગ કરો. એ જ રીતે રાતના સૂતાં પહેલાં મોબાઇલનો ઉપયોગ ટાળીએ. ખાસ કરીને પથારીમાં આડા પડીને મોબાઇલ જોવાનું ચોક્કસ ટાળવું જોઈએ.
ફોનનો ઉપયોગ કરતી વખતે યોગ્ય સ્થિતિમાં બેસવાથી અને ફોનને યોગ્ય અંતરે રાખવાથી પણ તેની આડઅસરો ટાળી શકાય.

