
જો તમે તમારા પીસીમાં સારો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો હોય, તેને તમે નિયમિત રીતે અપડેટ કરતા હો અને તેનાથી કમ્પ્યૂટરને નિયમિત રીતે સ્કેન પણ કરતા હો, તો જો કોઈ રીતે તમારા પીસી/લેપટોપમાં વાઇરસ ઘૂસી ગયો હોય તો આવા સ્કેનિંગ દરમિયાન, તેની હાજરી તરત પરખાઈ આવે.
આમ તો, એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ હોય તો પીસીમાં વાઇરસ ઘૂસવો જ ન જોઈએ, પણ તેની વાઇરસ-ડેફિનેશન બહારનો કોઈ નવો વાઇરસ ઘૂસ્યો હોય અને એ પછી આપણે જો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામમાંની વાઇરસ-ડેફિનેશન્સ અપડેટ કરી હોય, તો ત્યાર પછીના સ્કેનિંગ વખતે એ વાઇરસની હાજરી પરખાઈ આવવી જોઈએ.
પરંતુ ઉપરની બધી વાત નકારમાં હોય તો?
આપણે એન્ટિ-વાઇરસ પ્રોગ્રામનો ઉપયોગ ન કરતા હોઈએ કે તેને અપડેટેડ ન રાખતા હોઈએ કે તેનાથી નિયમિત સ્કેન ન કરતા હોઈએ તો? તો પછી વાઇરસની હાજરીની ચાડી ખાય તેવા કેટલાક સંકેતો આપણી મદદે આવી શકે.
સામાન્ય રીતે કમ્પ્યૂટરમાં સારો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ હોય તો તેના સ્કેનિંગમાં વાઇરસ પકડાઈ જવો જોઈએ. એવું ન થાય, તો પણ કેટલાક સંકેતો છે…
જેમ કે તમારું પીસી કે લેપટોપ અચાનક એકદમ ધીમું ચાલવા લાગે, તમે કોઈ આઇકન પર ક્લિક કરો તો સિસ્ટમ કે એ સોફ્ટવેર કોઈ પ્રતિસાદ ન આપે, કમ્પ્યૂટર તદ્દન અટકી પડે કે આપમેળે રીબૂટ (બંધ થઈ ફરી ચાલુ) થાય, કમ્પ્યૂટરમાંનો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ અને/અથવા ફાયરવોલ આપમેળે ડિસેબલ થઈ જાય (જેમ આતંકવાદીઓ હવે સીધા લશ્કર પર હુમલો કરે છે તેમ!), તમે હાર્ડ ડિસ્કમાંના કોઈ ફોલ્ડરને એક્સેસ ન કરી શકો, કોઈ કારણ વિના, તમે કશું પ્રિન્ટ ન કરી શકો, ‘તમારું કમ્પ્યૂટર જોખમમાં છે’ એવા મેસેજ પોપ-અપ થવા લાગે, ‘તમને લોટરી લાગી છે’ એવા મેસેજ પોપ-અપ થવા લાગે, તમે નવો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો તો થાય નહીં, કમ્પ્યૂટરના ડેસ્કટોપ પર કે અન્ય જગ્યાએ પ્રોગ્રામ ફાઇલ્સના આઇકન ગાયબ થાય કે બદલાઈ જાય…
જો તમારા કમ્પ્યૂટરમાં આવાં કોઈ ચિહ્ન દેખાય તો જો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ ચાલુ રહ્યો હો તો તેનાથી આખું કમ્પ્યૂટર સંપૂર્ણપણે સ્કેન કરો અથવા જાણકાર કમ્પ્યૂટર એન્જિનીયરની તરત મદદ લો!

