નિકટના સ્વજનની વિદાય સૌ કોઈને કારમો આઘાત આપે, પરંતુ સમય તેનું કામ કરે અને પરિવારની અન્ય વ્યક્તિઓ, સ્વજનની યાદ સાથે, પોતાના રોજિંદા જીવનમાં પરોવાતી જાય. જોકે ઘણા લોકો આ આઘાત બિલકુલ પચાવી શકતા નથી અને સમય પણ તેમના ઘા જલદી રુઝાવી શકતો નથી. આવા લોકો સ્વજનનું મૃત્યુ થયું જ નથી એમ માનીને, તે આસપાસ છે જ એમ માની, તેની સાથે વાત કરતા રહે છે.
કેનેડામાં રહેતો જોશુઆ બાર્બ્યુ નામનો એક યુવાન આવો નીકળ્યો. એ તેની સગાઈ જેની સાથે થઈ હતી એ યુવતી, જેસિકાનું મૃત્યુ પચાવી શક્યો નહીં. તેણે કુદરતનો આ ક્રમ ઉલટાવવાની કોશિશ કરી અને એ માટે તેણે ટેક્નોલોજીની મદદ લીધી (એટલા માટે તો આપણે આ પાના પર જીવન-મૃત્યુની ફિલોસોફી માંડી છે!).

જોશુઆએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ‘પ્રોજેક્ટ ડિસેમ્બર’ નામની એક ટેકનોલોજીને કામે લગાડી. આ ટેક્નોલોજી ઓપનએઆઇ નામના એક ગ્રૂપે વિક્સાવી છે. આ ગ્રૂપને સ્પેસએક્સ, ટેસ્લા વગેરેથી જાણીતા એલન મસ્ક ટેકો આપે છે.
આ ટેક્નોલોજીની મદદથી હાયપર-રિયાલિસ્ટિક ચેટબોટ્સ વિક્સાવી શકાય છે. એટલે કે, આપણી વાત મશીન સાથે થતી હોય, છતાં, અદ્દલ જીવતા-જાગતા માણસ સાથે જ વાત થતી હોય એવો અનુભવ મળે!
પેલા હૃદયભંગ યુવાન જોશુઆએ પોતાના દિલને મનાવવા આ રીતે જેસિકા સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. તેણે જેસિકા સાથેની જૂની વાતચીતના મેસેજિસ આ એઆઇ મોડેલમાં ફીડ કર્યા. સાથે, પોતાની અને જેસિકાને સંબંધિત બીજી ઘણી માહિતી પણ ફીડ કરી. જોતજોતામાં પેલું મશીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી જેસિકા વિશે એટલું બધું જાણી ગયું કે જોશુઆ તેની સાથે ‘વાત’ કરીને, પોતાની ફિયાન્સી સાથે વાત કર્યાનો સંતોષ મેળવવા લાગ્યો! જોશુઆનો આ અનુભવ પહેલાં રેડીટ નામના કમ્યુનિટી પ્લેટફોર્મ પર ને ત્યાંથી અખબારોમાં ચમક્યો છે.
ઓપનએઆઈ પ્લેટફોર્મ તરફથી આ વિશે કોઈ સત્તાવાર ખુલાસા થયા નથી, પણ આ ટેક્નોલોજી એટલી આગળ વધી છે કે તેનો દુરુપયોગ થવાની બહુ સંભાવના છે એટલે તેનો ઉપયોગ મર્યાદિત રાખવામાં આવ્યો છે. નવા સમયમાં, જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા પણ ભૂંસાવા લાગશે?
