આગળ શું વાંચશો?
- વોટ્સએપ પેમેન્ટ્સ સર્વિસને ધારી લોકપ્રિયતા ન મળતાં, હવે તેમાં કેશબેક ઓફર્સ!
- ભારતીય માર્કેટમાં સ્નેપચેટની લોકપ્રિયતા વધી રહી છે
- સોશિયલ સાઇટ્સ વાંધાજનક કન્ટેન્ટ સામે પગલાંના રિપોર્ટ આપવા લાગી
બહુ લાંબો સમય કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલી રહેલી વોટ્સએપ પેમેન્ટ સર્વિસ આખરે લગભગ તમામ યૂઝર્સ માટે લોન્ચ થઈ ગઈ પરંતુ તેને ધાર્યો પ્રતિસાદ મળ્યો નહીં. જ્યારે પહેલી વાર વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ સર્વિસ લોન્ચ થવાની વાતો ચાલતી હતી ત્યારે સૌની ધારણા એવી હતી કે બહુ મોટા પ્રમાણમાં ભારતીયોના જીવનમાં વણાઈ ગયેલી આ એપ પેમેન્ટ સર્વિસને કારણે ભારતીય બેન્કિંગમાં ગેમચેન્જર સાબિત થશે.

પરંતુ એવું થયું નહીં. તેનાં મુખ્ય ત્રણ કારણ હતાં – એક, વોટ્સએપમાં પેમેન્ટ સર્વિસનો લાભ તમામ યૂઝર્સને મળવામાં ઘણું મોડું થયું. બીજું, ત્યાં સુધીમાં ગૂગલ પે, ફોનપે અને પેટીએમ આ ત્રણેય કંપનીએ યુપીઆઈ પેમેન્ટ્સનું મોટા ભાગનું બજાર સર કરી લીધું હતું. ત્રીજું કારણ એ પણ હતું કે ભારતમાં યુપીઆઈનો ઉપયોગ વધ્યો એ સાથે યુપીઆઈ આધારિત ફ્રોડમાં પણ ઉછાળો આવ્યો!
એ જ સમયે ફેસબુક અને વોટ્સએપમાં પ્રાઇવસીને સંબંધિત વિવાદો પણ જાગ્યા. પરિણામે લોકોએ વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખ્યો પરંતુ તેને પોતાના બેંક એકાઉન્ટ સાથે સાંકળવાનું ટાળ્યું.
હવે વોટ્સએપ કંપની ભારતમાં તેની પેમેન્ટ સર્વિસને ગતિ આપવા માટે નવેસરથી પ્રયાસો કરે તેવી શક્યતા છે. ગૂગલ પેની જેમ વોટ્સએપ પેમેન્ટ્સનો ઉપયોગ કરતા લોકોને કેશબેક ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે. વોટ્સએપના બીટા વર્ઝનનો ઉપયોગ કરતા કેટલાક લોકોને આ ફીચર દેખાવા લાગ્યું છે. અલબત્ત તેના પર હજી ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને તમામ યૂઝર્સને તેનો લાભ મળતાં હજી ઘણી વાર લાગી શકે છે.
વોટ્સએપ કંપની યુપીઆઈ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે મોટા પાયે જાહેરાતોનું કેમ્પેઇન ચલાવે તેવી પણ શક્યતા છે.
વોટ્સએપમાં આપણે જેટલી સહેલાઈથી ગુડમોર્નિંગ મેસેજની ઇમેજ મૂકી શકીએ છીએ એટલે જ સહેલાઇથી લોકો સાથે રૂપિયાની આપલે કરી શકીએ છીએ, પરંતુ એ માટે વધુ ને વધુ લોકો વોટ્સએપની પેમેન્ટ સર્વિસ પર વિશ્વાસ મૂકે એ જરૂરી છે, જે સહેલાઈથી શક્ય બને એવું લાગતું નથી!

લોકોની સોશિયલ મીડિયાની પસંદ-નાપસંદ બહુ ઝડપથી બદલાય છે. પશ્ચિમી દેશોમાં ફેસબુકની સામે યંગ જનરેશનમાં સ્નેપચેટ વધુ પોપ્યુલર થવા લાગી પરંતુ ભારત જેવા દેશમાં ફેસબુક અને તેની જ માલિકીની ઇન્સ્ટાગ્રામ વધુ લોકપ્રિય છે. વાસ્તવમાં ઇન્સ્ટાગ્રામે સ્નેપચેટનાં એક પછી એક ફીચર્સની કોપી કર્યા પછી ભારતમાં તેનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. ખાસ કરીને સ્નેપચેટની જેમ ૨૦૧૬માં ઇન્સ્ટાગ્રામે ૨૪ કલાક પછી ગાયબ થતી સ્ટોરીઝનું ફીચર ઉમેર્યા પછી ભારતમાં ઇન્સ્ટાની પોપ્યુલારિટી સતત વધતી ગઈ.
જોકે હવે ભારતમાં પણ સ્નેપચેટને મોમેન્ટમ મળવા લાગ્યું છે.
જૂન ૨૦૧૯માં ભારતમાં સ્નેપચેટના માત્ર ૭૦ લાખ મંથલી એક્ટિવ યૂઝર્સ હતા જે અત્યાર સુધીમાં ૭ ગણા વધી ગયા હોવાનો અંદાજ છે. ખાસ કરીને સ્નેપચેટ પર વીડિયો ક્રિએટ કરવા માટે ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર) આધારિત ફિલ્ટર્સ ઉમેરાયા પછી સ્નેપચેટ ફરી લાઇમલાઇટમાં આવી છે.
અલબત્ત ભારતમાં હજી પણ ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ કરતાં લગભગ ત્રણ ગણા વધુ ડેઇલી અને મંથલી એક્ટિવ યૂઝર્સ ધરાવે છે!
ઓગસ્ટ ૨૦૨૧ના એક જ મહિના દરમિયાન વોટ્સએપે ૨૦ લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. આ વર્ષની શરૂઆતમાં ભારત સરકારે સોશિયલ મીડિયા સંબંધિત ધારાધોરણોમાં ફેરફાર કર્યા પછી, વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેને મળતી કન્ટેન્ટ સંબંધિત ફરિયાદો અને તેના પર લેવામાં આવેલા પગલાંનો રિપોર્ટ દર મહિને સરકારને આપવાનું ફરજિયાત બન્યું છે.

વોટ્સએપ કંપનીએ કહ્યું હતું કે તેણે બંધ કરેલા એકાઉન્ટ્સમાંથી ૯૫ ટકા એકાઉન્ટ્સ પરથી ઓટોમેટેડ અથવા સ્પામ તરીકે બલ્ક મેસેજિંગ થતું હતું. સામન્ય રીતે વોટ્સએપ દર મહિને સમગ્ર વિશ્વમાં ૮૦ લાખ જેટલા એકાઉન્ટ પર આવા જ કારણોસર પ્રતિબંધ મૂકે છે. દરમિયાન ફેસબુક પ્લેટફોર્મ પર ઓગસ્ટ ૨૦૨૧ના એક મહિના દરમિયાન ૩.૧૮ કરોડ કન્ટેન્ટ પીસ વિવિધ પ્રકારના વાંધાવિરોધને કારણે દૂર કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર ૨૨ લાખ પોસ્ટ દૂર કરવામાં આવી હતી.
જોકે એ નોંધવા જેવું છે કે આ પ્રકારે માત્ર ભારત જેવા ચોક્કસ દેશ માટે વાંધાજનક કન્ટેન્ટ તારવીને દૂર કરવાની પ્રક્રિયા મુશ્કેલ છે. આવા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ કરનારા લોકો વિવિધ તરકીબ અજમાવીને પોતાનો મૂળ દેશ છૂપાવી શકતા હોય છે.
