ભારતમાં નોટબંધી પછી મોબાઇલ વોલેટ્સના ઉપયોગમાં ખાસ્સો ઉછાળો આવ્યો, પરંતુ ત્યાર પછી તેમાં ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી) ફરજિયાત બનતાં તથા યુપીઆઈ આધારિત ટ્રાન્ઝેકશન સરળ બનતાં મોબાઇલ વોલેટ્સનાં વળતાં પાણી થયાં. અલબત્ત, યુપીઆઈમાં આંખના પલકારામાં રકમની લેવડદેવડ થઈ જતી હોવાથી તેનો ઠગ લોકો મોટા પાયે દુરૂપયોગ કરવા લાગ્યા છે અને લોકોની અણઆવડત કે ગફલતનો લાભ ઉઠાવીને થતા સાયબરફ્રોડનું પ્રમાણ સતત વધી રહ્યું છે એ ધ્યાનમાં રાખીને હવે રિઝર્વ બેન્કે એક નવા પ્રકારના પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, બીજા શબ્દોમાં, મોબાઇલ વોલેટ્સ રજૂ કરવાનું સૂચવ્યું છે.
આ પ્રકારના વોલેટનો ઉપયોગ માત્ર ચીજવસ્તુ ખરીદવા કે બિલ પેમેન્ટ માટે કરી શકાશે. તેમાં માત્ર બેન્ક એકાઉન્ટમાંથી રકમ જમા કરી શકાશે. આવા વોલેટ્સની મદદથી કોઈ વ્યક્તિઓના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ શકશે નહીં. ઉપરાંત આ પ્રકારના મોબાઇલમાં દર મહિને માત્ર રૂા. ૧૦,૦૦૦ સુધીની રકમ જમા કરી શકાશે અને એટલી જ રકમથી પેમેન્ટ થઈ શકશે. ટૂંક સમયમાં રિઝર્વ બેન્ક આ વિશેના નિયમો જાહેર કરે તેવી શક્યતા છે.
