ભારતમાં અને વિશ્વભરમાં, બેન્કની શાખાઓ પર આવતા લોકોનું પ્રમાણ ઘટાડવા માટે અને ખાતાધારકો સહેલાઈથી, ગમે ત્યાંથી ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે એ માટે એટીએમ વ્યવસ્થા વિકસી છે, પણ ભારતમાં હવે એટીએમ પર પણ ભારણ વધી રહ્યું છે!
આથી નાણાં મેળવવાનું હજી વધુ સહેલું બનાવવા માટે, હવે યુપીઆઇ તંત્રને વિવિધ શોપ્સ સાથે જોડીને ત્યાંથી રૂપિયા મેળવી શકાય એવી વ્યવસ્થા વિસ્તરી રહી છે.
કેટલીક ખાનગી કંપનીએ આવી વ્યવસ્થા શરૂ કરી દીધી હતી, પણ હવે આવી સુવિધા આપવા માટે રિઝર્વ બેન્કની મંજૂરની પણ જરૂર રહી નથી.
આ પદ્ધતિમાં, બેન્ક્સ સાથે જોડાયેલી શોપ્સમાંથી કોઈ ખરીદી કરી ન હોય તો પણ, એટીએમની જેમ યુપીઆઇ એકાઉન્ટનો ઉપયોગ કરીને વેપારી પાસેથી બે હજાર રૂપિયા સુધીની રકમ મેળવી શકાશે.
રિઝર્વે બેન્કે આ પહેલાં, પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ પરથી, ડેબિટ કાર્ડ અને પ્રીપેઇડ કાર્ડથી રૂપિયા મેળવવાની વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે.

