કુદરતી આફત સમયે જીવન જેવું ડખે ચઢે એનો આપણે ભૂકંપ સમયે અને પછી હમણાં કોરોના વાઇરસને પ્રતાપે પૂરો અનુભવ કર્યો છે. વાત કમ્પ્યુટર્સની હોય ત્યારે ભૂકંપ કે આગ એવાં આકસ્મિક જોખમો ઉપરાંત હાર્ડ ડ્રાઇવ ક્રેશ થવી કે ‘રેન્સમવેર’ ત્રાટકવા જેવી આફત પણ ઉમેરાય છે. રેન્સમવેર આપણા કમ્પ્યુટરના તમામ ડેટાને એવી રીતે લોક કરી દે છે કે આપણે તેની ખંડણી ચૂકવીએ નહીં ત્યાં સુધી ડેટાનો કોઈ રીતે ઉપયોગ કરી શકીએ નહીં.
આવી આફતથી બચવાનો એકમાત્ર ઉપાય છે આપણા મહત્ત્વના ડેટાનો નિયમિત બેકઅપ. ડેટા આપણા એક સાધન ઉપરાંત બીજી બે જગ્યાએ પણ સચવાયેલો પડ્યો હોય તો પછી કોઈ ચિંતા ન રહે. પરંતુ હમણાં થયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે લગભગ અડધોઅડધ ભારતીયો તેમના ડેટાનો બેકઅપ લેવાની પરવા કરતા નથી!
આ સર્વેક્ષણ સ્માર્ટફોન યૂઝર્સ માટે કરવામાં આવ્યું હતું. આ બાબતે આઇફોન અને એન્ડ્રોઇડના યૂઝર્સમાં ખાસ કોઈ ફેર નથી. આઇફોનના ૧૩ ટકા યૂઝર્સ અને એન્ડ્રોઇડના ૧૭ ટકા યૂઝર્સે એમ પણ કહ્યું કે તેમને બેકઅપ કેમ લેવાય એ જ ખબર નથી. સર્વેક્ષણમાં સામેલ જે અડધા ભાગના લોકોએ કહ્યું કે તેઓ બેકઅપ લે છે, તેમાંના ૪૨ ટકાએ પોતે ક્લાઉડ સ્ટોરેજમાં, ૩૫ ટકા એક્સટર્નલ હાર્ડ ડ્રાઇવમાં અને ૨૩ ટકા યુએસબી પેન ડ્રાઇવમાં બેકઅપ લેતા હોવાનું કહ્યું.
તમારા સ્માર્ટફોનને ક્યારેક ફુરસદે તપાસી જુઓ. તેમાં કેટલો અને ક્યાં ક્યાં મહત્ત્વનો ડેટા અને તે તમામનો તમે યોગ્ય રીતે બેકઅપ લો છો? મતલબ કે, આટલું આ લખાણ પૂરું થાય ત્યાં સુધીમાં તમારો સ્માર્ટફોન – કુદરત ન કરે, પણ – તદ્દન ક્રેશ થાય અને તેમાંનો બધો ડેટા ભૂંસાઈ જાય, તો પણ તમારા પેટનું પાણી ન હલે એવી રીતે તમે તેનો બેકઅપ સાચવો છો ખરા?!
