આમ તો આપણે એવું માનીએ કે ફેસબુકમાં આપણે મૂકેલી કોઈ પોસ્ટ, ફોટો કે કમેન્ટ વગેરે આપણે ડિલીટ કરીએ તો એ ખરેખર ડિલીટ થતું હશે, પણ એ અર્ધસત્ય છે.
ફેસબુકની સ્પષ્ટતા અનુસાર આપણે ફેસબુક પર શેર કરેલું જે કંઈ ડિલીટ કરીએ તે ફેસબુકની સાઇટ પરથી ડિલીટ થાય છે. પરંતુ એ પછીના જ વાક્યમાં ફેસબુક કહે છે કે તેમાંની કેટલીક માહિતી તેના સર્વર્સ પરથી કાયમ માટે ડિલીટ થાય છે, પરંતુ ‘કેટલીક’ માહિતી, જો અને જ્યારે આપણે ફેસબુકનું આખું એકાઉન્ટ જ કાયમ માટે ડિલીટ કરીએ તો અને ત્યારે જ, કાયમ માટે ડિલીટ થાય છે.
આ ‘કેટલીક’ માહિતી કઈ તેની ફેસબુક તરફથી કોઈ સ્પષ્ટતા નથી.
એ જ રીતે ટવીટર જેવી સર્વિસ પર આપણે કોઈ કોન્ટેક્ટને પ્રાઇવેટ ડાયરેક્ટ મેસેજ મોકલીએ એ આપણે ભલે માનીએ કે પ્રાઇવેટ છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. ઉપરાંત ટવીટરનું એકાઉન્ટ ડિલીટ કર્યા પછી પણ કંપની આપણા ડાયરેક્ટ મેસેજિસ પણ સાચવી રાખતી હોવાનું બહાર આવ્યું છે.
એનો અર્થ કે ફેસબુક-ટવીટર વગેરે પર (ખરેખર તો આખા ઇન્ટરનેટ પર) કંઈ પણ શેર કરતાં પહેલાં યાદ રાખવું કે અહીં એક વાર તીર છૂટી ગયા પછી આપણા હાથમાં રહેતું નથી અને શેર કરેલું કંઈ પણ પૂરેપૂરું, કાયમ માટે ડિલીટ કરવું એ આપણા હાથની વાત નથી.
ફેસબુક કે અન્ય કોઈ પણ સર્વિસ હેક થાય ત્યારે તેમાં સચવાઈ રહેલો આપણો આ ડેટા ગમે ત્યારે આપણી વિરુદ્ધ ઉપયોગમાં લેવાઈ શકે છે.

