અત્યાર સુધી આપણે પીસીમાં પેનડ્રાઇવ એટેચ કરી હોય તો કામ પૂરું થયા પછી તેને અનપ્લગ કરતી વખતે એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન કરવું પડતું હતું. એ માટે આપણે સ્ક્રીન જમણી તરફ નીચેની બાજુએ પેનડ્રાઇવની નિશાની પર ક્લિક કરીએ, પછી સિસ્ટમ આપણને કહે કે પેનડ્રાઇવ પીસીમાંથી દૂર કરવી સલામત છે, એ પછી જ આપણે પેનડ્રાઇવ બહાર કાઢતા હતા.
આમ તો ઘણા લોકો સલામતીની આ પ્રક્રિયાને અનુસર્યા વિના સીધે સીધી પેનડ્રાઇવ ખેંચી કાઢતા હોય છે, પરંતુ તેમાં ક્યારેક પેનડ્રાઇવમાંનો ડેટા કરપ્ટ થવાની શક્યતા રહે છે.
માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-૧૦માં આવા લોકોનું કામ સહેલું કરી દીધું છે. વિન્ડોઝ-૧૦માં આવેલા ૧૮૦૯ અપડેટથી એવી સુવિધા ઉમેરાઈ છે જેને કારણે પેનડ્રાઇવને પેલી ‘સેફ્લી રીમૂવ હાર્ડવેર’ની પ્રક્રિયાનું પાલન કર્યા વિના સીધે સીધી બહાર ખેંચી શકાય છે. અલબત આપણે પેનડ્રાઇવ બહાર ખેંચીએ એ સમયે તેમાં કોઈ ડેટા રાઇટ થતો ન હોવો જોઇએ.
જો તમારા પીસી કે લેપટોપમાં વિન્ડોઝ-૧૦ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તમને આ સગવડનો લાભ મળી શકે છે પરંતુ તેમાં ૧૮૦૯ અપડેટ ઇન્સ્ટોલ થઈ ગયું છે તેની ખાતરી કર્યા પછી જ આંખ મીંચીને પેનડ્રાઇવ ખેંચશો, બાકી તમારો ડેટા કરપ્ટ થઈ શકે છે!

