તાજેતરમાં એચડીએફસી બેન્કે પોતાના ઓનલાઇન બેન્કિંગ યૂઝર્સને યુપીઆઈ વ્યવસ્થાનો ગેરલાભ લઇને એકાઉન્ટમાંથી નાણાં સેરવી લેવાના નવા કૌભાંડ સામે ચેતવ્યા છે. અહેવાલો અનુસાર બેન્કે પોતાના યૂઝર્સને જાણ કરી છે કે તેઓ પોતાના મોબાઇલમાં ‘એનીડેસ્ક’ જેવી રિમોટ ડિવાઇસ કન્ટ્રોલ એપ્સ ઇન્સ્ટોલ કરવામાં સાવચેતી રાખે. આવી એપ્સની મદદથી આપણે અન્ય વ્યક્તિને અમુક ચોક્કસ મંજૂરી આપીએ તો તે આપણા ફોન પર અંકુશ મેળવી શકે છે (વધુ માહિતી માટે જુઓ એપ્રિલ, ૨૦૧૯ અંક).
છેતરપિંડી કરનારા લોકો પોતે બેન્ક કર્મચારી હોવાનું જણાવીને કહે છે કે આપણી મોબાઇલ બેન્કિંગ એપમાં કંઇક ખામી છે અને તેઓ તેને રીપેર કરવામાં આપણી મદદ કરવા ઇચ્છે છે. જો એપ રીપેર કરવામાં નહીં આવે તો બેન્ક એકાઉન્ટ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ બ્લોક થઇ જશે એવું ઠસાવીને તેઓ આપણા મોબાઇલમાં રિમોટ ડિવાઇસ કન્ટ્રોલ એપ ઇન્સ્ટોલ કરવા આપણને સમજાવે છે.
જો આપણે આવી વાતોમાં ફસાઈ જઇને પેલી વ્યક્તિએ સૂચવ્યા મુજબની એપ ફોનમાં ઇન્સ્ટોલ કરીએ તો એ પછી અન્ય એપ્સની જેમ આ એપ પ્રાયવસી સંબંધિત મંજૂરીઓ માગે છે. એ ઉપરાંત સામેની વ્યક્તિને આપણો ફોન એક્સેસ કરવા દેવા માટે આપણા ફોનમાં ૯ ડિજિટનો એક કોડ જનરેટ થાય છે. આ કોડ સામેની વ્યક્તિને આપવામાં આવે તો તે આપણા ફોન પર સંપૂર્ણ કન્ટ્રોલ મેળવી શકે છે.
બીજી એક પદ્ધતિમાં છેતરપિંડી કરનાર આપણને એક એસએમએસ મોકલીને તેને એક ચોક્કસ નંબર પર ફોરવર્ડ કરવા જણાવે છે.
આવી અલગ અલગ પદ્ધતિથી છેતરપિંડી કરનાર વ્યક્તિ આપણા ફોનમાંના યુપીઆઈ એકાઉન્ટનો દુરૂપયોગ કરી શકે છે કારણ કે આપણા ફોનમાં આવતા ઓટીપી એ વ્યક્તિ પણ જોઈ શકે છે.
આવી છેતરપિંડીથી બચવાનો સૌથી સહેલો ઉપાય એક જ છે – કોઈ પણ વ્યક્તિના કહેવાથી ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવી નહીં કે કોઈ એસએમએસ ફોરવર્ડ કરવા નહીં. આવી રીકવેસ્ટ બેન્કિંગ એકાઉન્ટ સંબંધિત હોય ત્યારે તો અચૂકપણે નહીં. થોડા સમય પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ આ જ પ્રકારની ચેતવણી લોકોને આપી હતી.

