સવાલ મોકલનાર : મિતેશ ગજ્જર, મહેસાણા
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોન ચાર્જ થતો હોય ત્યારે તે ફાટવાની શક્યતા હોવાથી ચાર્જિંગ સાથે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આપણે ખામીવાળું ચાર્જર ઉપયોગ કરીએ કે સેમસંગ નોટ-૭ના કિસ્સામાં જોવા મળ્યું તેમ ફોનના મેન્યુફેક્ચરરથી જ ફોનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો જ ફોન ફાટતા હોય છે.
જો ફોન અને તેનું ચાર્જર બંને બરાબર હોય તો ચાર્જિંગ વખતે ફોનનો ઉપયોગ કરવાથી ફોન ફાટવાની કોઈ શક્યતા નથી.
આમ છતાં ચાર્જિંગ વખતે ફોન ન વાપરવો સલાહભર્યો છે કારણ કે ચાર્જિંગ સમયે આપણો ફોન સામાન્ય કરતાં વધુ ગરમ થાય છે. એવે સમયે જો આપણે ફોનનો ઉપયોગ કરીએ તો તેમાં હજી વધુ ગરમી પેદા થાય છે અને તેમાંના કોમ્પોનન્ટસને નુકસાન પહોંચે છે.
વધુ પડતો ગરમ ફોન કાન નજીક હોય તો આપણને પોતાને પણ નુકસાન થવાની સંભાવના છે.

