[vc_row][vc_column][vc_column_text]ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી!
ખાસ કરીને આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે જીએસટી માત્ર વેપારીઓ કે બિઝનેસને સંબંધિત મુદ્દો નથી. આપણે સૌ રોજબરોજની ખરીદી માટે ચૂકવણી કરતી વખતે જીએસટી ચૂકવીએ છીએ ત્યારે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખરેખર સરકાર સુધી પહોંચે છે કે નહીં.
ઘણા કિસ્સાઓમાં એવું બહાર આવ્યું છે કે કેટલાક લેભાગુ વેપારીઓ જીએસટીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યા વિના ગ્રાહકો પાસેથી ૧૨ થી ૧૮ ટકા જેટલો ટેક્સ ઉઘરાવે છે, જે સરકારી તિજોરીમાં પહોંચવાને બદલે જે તે વેપારીના ખિસ્સામાં જાય છે. ખાસ કરીને નાનાં શહેરો, ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં અને શહેરોમાં ઓછી આવક ધરાવતા લોકોમાં એવી જ છાપ છે કે જીએસટી આવવાના કારણે દરેક વસ્તુ મોંઘી થઈ છે, પરિણામે વેપારી જે કહે તે રકમ લોકો ચૂકવી આપે છે – નિસાસા સાથે!
એટલે જ, સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે કોઈ પણ વેપારી જીએસટીમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના આપણી પાસેથી જીએસટીના નામે કોઈ વધારાની રકમ ઉઘરાવી શકે નહીં. કેટલાક અપવાદ સિવાય, વાર્ષિક વીસ લાખ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારી કે બિઝનેસે જ જીએસટી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને એ જ વ્યક્તિ યોગ્ય બિલ સાથે, ગ્રાહક પાસેથી જીએસટી માગી શકે છે.
આથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારી કે બિઝનેસ પણ ઇચ્છે તો જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકે છે, પણ જે બિલમાં આપણી પાસેથી જીએસટીને નામે વધારાની રકમ માંગવામાં આવે તેમાં બિઝનેસનો જીએસટી રજિસ્ટ્રેશન નંબર દર્શાવેલો હોવો જોઈએ. જો બિલમાં જીએસટી નંબર ન હોય તો વેપારી જીએસટી માગી શકે નહીં.
આપણા બિલમાં જીએસટીની રકમ ઉમેરાય ત્યારે એ જાણવું જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખરેખર સરકાર સુધી પહોંચે છે કે નહીં.
કેટલાક વેપારીઓ પોતે જીએસટીના રજિસ્ટ્રેશન માટે અરજી કરી છે પણ હજી રજીસ્ટ્રેશન નંબર આવ્યો નથી એવું કહીને વધારાની રકમ પડાવવાનો પેંતરો કરે છે. આ પણ ખોટું છે કારણ કે આવા સંજોગમાં વેપારીને એક પ્રોવિઝનલ નંબર આપવામાં આવે છે, જે તેણે બિલમાં બતાવવો જરૂરી છે.
ઘણા વેપારીઓ હજી પણ વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) કે ટેક્સપેયર આઇડેન્ટિફિકેશન નંબર (ટિન) કે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સીએસટી) વગેરે ધરાવતાં બિલ આપે છે, પણ ગ્રાહક પાસેથી જીએસટી વસૂલે છે.
વાસ્તવમાં, જીએસટીમાં રજિસ્ટ્રેશન ધરાવતા અને ગ્રાહક પાસેથી જીએસટીની રકમ ઉઘરાવતા દરેક વેપારી કે બિઝનેસ (રેસ્ટોરાં સહિત)ના બિલમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) અને સ્ટેટ જીએસટી (એસજીએસટી)નું બ્રેક અપ સ્પષ્ટપણે દર્શાવવું જરૂરી છે.
લૂંટવાની એક નવી તરકીબ
જીએસટીને નામે ગ્રાહકોને લૂંટનારા લોકોએ એક નવી તરકીબ પણ શોધી છે. આવા લોકો પોતાના બિલમાં જીએસટી નંબર દર્શાવીને જીએસટીની જરૂરિયાત મુજબ બિલ બનાવીને આપણી પાસેથી વધારાની રકમ માગે છે. આપણે બિલ બધી રીતે બરાબર લાગતાં રકમ ચૂકવી આપીએ, પરંતુ આવા બિલમાં દર્શાવેલો જીએસટી નંબર તદ્દન ખોટો હોઈ શકે છે.
દરેક વેપારી કે તેના બિલને શંકાની નજરે જોવાની વાત નથી, પણ એક સજાગ નાગરિક તરીકે કોઈ વાર તમે જીએસટીની વેબસાઇટ પર જઈને બહુ સહેલાઈથી હકીકત તપાસી શકો છો. જો તમને કોઈ વેપારી આવી છેતરપિંડી કરતા હોવાની શંકા જાગે તો તો આ કરવું ખાસ જરૂરી છે. જીએસટીની વેબસાઇટ પર જઇને આપણે એ વેપારીએ બિલમાં આપેલો જીએસટી નંબર સાચો છે કે ખોટો તે તપાસી શકીએ છીએ.
આ માટે https://services.gst.gov.in/services/searchtp વેબપેજ પર જાઓ અને તેમાં એ વેપારીએ બિલમાં લખેલો નંબર આપો. આ પછી તમે જીવતી જાગતી વ્યક્તિ હોવાની સાબિતી માટે એક કેપ્ચા નંબર બતાવવામાં આવશે. તે નંબર લખશો એટલે એ નંબર જે બિઝનેસને નામે હશે તેની વિગતો જોવા મળશે.
જો આ જ રીતે કોઈ વ્યક્તિ પ્રોવિઝનલ આઇડી બતાવીને ટેક્સ ઉઘરાવવાનો પ્રયાસ કરે તો તેનું રજિસ્ટ્રેશન તપાસવા માટે તમે આ પેજ HTTPS://SERVICES.GST.GOV.IN/SERVICES/TRACK-PROVISIONAL-ID-STATUS પર જઇ શકો છો. અહીં પણ રાજ્ય, પ્રોવિઝનલ આઇડી અને કેપ્ચા નંબર આપીને એ વેપારીએ ખરેખર પ્રોવિઝનલ આઇડી મેળવ્યો છે કે નહીં તે તપાસી શકાય છે.
જો તમારી તપાસમાં આ જીએસટી રજિસ્ટ્રેશન કે પ્રોવિઝનલ આઇડી ખોટો હોવાનું જાણવા મળે તો તમે helpdesk@gst.gov.in પર ઇમેલથી કે જીએસટી હેલ્પલાઇન નંબર ૦૧૨૦-૪૮૮૮૯૯૯ ઉપર ફરિયાદ કરી શકો છો.[/vc_column_text][/vc_column][/vc_row]


