દેશના ૬૦ ટકા નવા એન્જિનીયર્સને નોકરી મળતી નથી, કેમ?
આગળ આપેલા આંકડા, જરા વધુ ધ્યાનથી વાંચજો, ચાનો કપ હાથમાં હોય તો બાજુએ મૂકીને વાંચજો :
- ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના તાજા રિપોર્ટ પ્રમાણે, દેશમાં દર વર્ષે બહાર પડતા આઠ લાખ એન્જિનીયર્સમાંથી ૬૦ ટકાથી વધુને નોકરી મળતી નથી.
- કોગ્નિઝન્ટ ટેક્નોલોજીસ નામની એક મોટી આઇટી કંપનીએ ભારતમાં એક સાથે ૬,૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે વાર્ષિક પર્ફોર્મન્સ અપ્રેઇઝલમાં આ લોકોની કામગીરી કંપનીની અપેક્ષા મુજબની નથી (બીજાં કારણ પણ હોઈ શકે છે).
- બીજા એક અહેવાલ મુજબ, ભારતમાં આ વર્ષે આઇટી કંપનીઝ અગાઉ કરતાં પૂરા ૪૦ ટકા ઓછા લોકોને નોકરી પર લે તેવી શક્યતા છે.
ચા ભલે ઠરી જતી, પણ આ આંકડાના અર્થ બરાબર સમજજો. સમય કાઢીને નેટ પર થોડું ગૂગલિંગ કરીને આ દરેક મુદ્દા વિશે થોડી વધુ જાણકારી મેળવશો તો જણાશે કે આઇટી ક્ષેત્રમાં તો ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો વગેરેને કારણે મંદીનો પવન છે, પણ એન્જિનીયરિંગનાં બીજાં ક્ષેત્રોમાં પણ, ૬૦ ટકા જેટલા ફ્રેશ એન્જિનીયર્સને નોકરી મળતી નથી, એનું કારણ એ નથી કે ઉદ્યોગોને નવા એન્જિનીયર્સની જરૂર નથી. તકલીફ એ છે કે આ ઉદ્યોગોને ફ્રેશ એન્જિનીયર્સ નોકરીને લાયક લાગતા નથી!
આંચકો લાગ્યો? અહેવાલો મુજબ, દેશની ૩૨૦૦ જેટલી કોલેજીસ અને ઇન્સ્ટિટ્યૂશન્સમાં જે એન્જિનીયરિંગ પ્રોગ્રારૂમ્સ ઓફર કરાય છે, તેમાંથી માંડ ૧૫ ટકા નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન દ્વારા એક્રેડિટેડ છે. એથી પણ વધુ આંચકાજનક વાત એ છે કે દેશના તમામ એન્જિનીયરિંગ સ્ટુડન્ટ્સમાંથી ૧ ટકા – ફરી વાંચો, એક ટકા – કરતાં ઓછા વિદ્યાર્થી સમર ઇન્ટર્નશીપમાં ભાગ લે છે, એટલે કે વાસ્તવિક ઉદ્યોગોમાં કામચલાઉ કામે લાગીને પોતે કોલેજમાં જે કંઈ ભણ્યા તેને સુદૃઢ કરવાની કોશિશ કરે છે.
આ બધું વાંચીને “સરકાર કશું કરતી નથી, શિક્ષણતંત્ર જ ખાડે ગયું છે એવા બળાપા કાઢી શકાય, પણ સરકાર દેશના ટેકનિકલ એજ્યુકેશનનું સ્તર ઊંચે લઈ જવાના પ્રયાસો કરશે અને કરી રહી છે, એની વિગતે વાત કરવાની અહીં જગ્યા નથી, પણ આપણે પોતે પોતાનું સ્તર ઊંચે લઈ જવા શું કરીએ છીએ?
ડાર્વિન (એ કોણ હતો એમ ન પૂછશો)ની થીયરી યાદ કરીએ તો “અત્યારે સર્વાઇવલ ઓફ ધ સ્માર્ટેસ્ટનો સમય છે. સ્માર્ટ એટલે ફક્ત એ નહીં, જે ફાંકડું ઇંગ્લિશ બોલી જાણે (એ તો જરૂરી છે જ), પણ એ, જેને પોતાના અભ્યાસના વિષયનું ખરેખર ઊંડું અને આજના સમયનું જ્ઞાન હોય. સાથોસાથ, તેને સ્પર્શતા બીજા વિષયોની પણ સારી એવી જાણકારી હોય.
આપણામાં એવું શું છે જેને કારણે, જે પેલા ૪૦ ટકા એન્જિનીયર્સને નોકરી મળે છે એમાં આપણો પણ નંબર હોય? અથવા આપણામાં એવું શું છે જેને કારણે આઇટી કંપનીઝમાં ધડાધડ જે લોકોને પાણીચાં મળી રહ્યાં છે એમાં આપણો નંબર ન હોય? જવાબ સાવ સહેલો છે – આપણે પોતાના ફિલ્ડમાં, જગતમાં જે ચાલી રહ્યું છે એ વિશે સતત અપડેટેડ રહેવું પડશે.
અચ્છા, તમને થશે કે ‘સાયબરસફર’માં આ બધી પારાયણ શા માટે? એટલા માટે કે તમે વોટ્સએપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનાં બે-ચાર નવાં ફીચર નહીં જાણો તો કદાચ ચાલશે, પણ ‘ફીડલી’ કે ‘પોકેટ’ જેવી એપનો તમારા સ્માર્ટફોનમાં ઉપયોગ નહીં કરતા હો તો યે નહીં ચલેગા, ડૂડ! આપણે મેગેઝિનમાં આવી સર્વિસીઝના ઉપયોગ વિશે વારંવાર, વિગતવાર વાત કરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અવી સર્વિસીઝનો જેટલો વધુ ઉપયોગ કરશે એટલા તેઓ ફાયદામાં રહેશે.
તમારું ભાવિ ખરેખર તમારા હાથમાં તમારા સ્માર્ટફોનમાં છે, જે તમને જગત આખાની જાણકારી આપે છે. એનો કેવો અને કેટલો ઉપયોગ કરવો એ તમારે વિચારવાનું.

