ગયા મહિને, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે ૨૦૩૦ સુધીમાં વિશ્વના દેશો કેવા હોવા જોઈએ તેનું ચિત્ર રજૂ કર્યું હતું :

- એવું વિશ્વ, જેમાં ગામડાં અને શહેરો, અમીરો અને ગરીબો, વિકસિત અને વિકાસશીલ વચ્ચેનું અંતર ઘટ્યું હોય.
- એવું વિશ્વ, જેમાં ઊર્જા અને ગુણવત્તાપૂર્ણ પાણીની સમાન વહેંચણી હોય અને એ સૌને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય.
- એવું વિશ્વ, જેમાં દરેક દેશોની ચોક્કસ ક્ષમતા નિશ્ચિત હોય. જુદા જુદા દેશોની અલગ અલગ ક્ષેત્રોમાંની ક્ષમતાને એકમેકની પૂરક બનાવીને સમગ્ર વિશ્વના તમામ લોકો માટે આર્થિક લાભ અને ઝડપી વિકાસ સુનિશ્ચિત કરે.
- એવું વિશ્વ, જેમાં તમામ સમાજના સૌ વિદ્યાર્થીઓને મૂલ્ય વ્યવસ્થા સાથે શિક્ષણ મળતું હોય.
- એવું વિશ્વ, જેમાં વહીવટ લોકાભિમુખ, પારદર્શી અને ભ્રષ્ટાચારમુક્ત હોય.
- એવું વિશ્વ, જેમાં મહિલાઓ અને બાળકો સામે કોઈ હિંસા નહીં હોય અને સમાજનું કોઈ પોતાને બીજાથી અલગ અનુભવતું નહીં હોય.
- એવું વિશ્વ, જેમાં દરેક દેશ પોતાના તમામ નાગરિકોને સ્વચ્છ, હરિત પર્યાવરણ આપવા સક્ષમ હોય.
- એવું વિશ્વ, જે સમૃદ્ધ, સ્વસ્થ, સલામત, ત્રાસવાદથી મુક્ત, શાંતિપૂર્ણ અને ખુશહાલ હોય તથા લાંબા ગાળાના વિકાસના પંથે હોય.
- એવું વિશ્વ, જેને સર્જનાત્મક નેતૃત્વ મળ્યું હોય, જેઓ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે જુદા જુદા દેશો અને સમાજો વચ્ચેના વિખવાદો મીટાવવા માટે સમયસર અને અસરકારક તંત્ર ઊભું કરી શકતા હોય.
આ બધું શક્ય બનાવવા બે સંભવિત ઉપાય છે. એક, પરંપરાગત અભિગમ છે, જેને અત્યાર સુધી બધા દેશો અનુસર્યા છે, જેમાં જે તે દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયાસ થાય છે અને એવી આશા રખાય છે કે લાંબા ગાળે તેના આખા વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે. આખી દુનિયાનો અનુભવ કહે છે કે આ અભિગમથી અત્યાર સુધી જોઈતાં પરિણામ મળ્યાં નથી.
બીજો ઉપાય, આખી વાતને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જોઈને સમગ્ર વિશ્વની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયાસો કરવાનો હોઈ શકે, જેનાથી ધીમે ધીમે જુદા જુદા દેશના સ્તરે આ વાત શક્ય બને. સમગ્ર વિશ્વનું એક ધ્યેય નક્કી, જુદા જુદા દેશો તેને અનુરૂપ પ્રયાસો કરે તો વાત શક્ય બને.
