સવાલ મોકલનાર : ઇબ્રાહિમ યૂનુસ, જૂનાગઢ
વેકેશનના દિવસોમાં તમારો હંમેશનો અનુભવ હશે કે રેલવેમાં કન્ફર્મ્ડ રિઝર્વેશન મેળવવું કાયમ મુશ્કેલ હોય છે. પરંતુ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ ચોક્કસ ટ્રેનમાં આપણે બુકિંગ મેળવવાનો પ્રયાસ કરીએ અને નિષ્ફળતા મળે પરંતુ એ ચોક્કસ દિવસ કે ટ્રેન સિવાયના દિવસ કે ટ્રેનમાં આપણને રિઝર્વેશન મળી પણ જાય. પરિણામે ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ ટ્રેન અત્યંત ભરચક હોય અને અમુક ટ્રેન થોડી ખાલી પણ દોડે.
ભારતીય રેલવેએ આવી સ્થિતિ ટાળવા, મુસાફરોની હાલાકી ઓછી કરવા અને પોતાની આવક વધારવા માટે ‘વિકલ્પ’ નામે એક નવી યોજના જાહેર કરી છે (આવી યોજના આવી રહી હોવાની વાત આપણે સાયબર સફરમાં અગાઉ કરી ગયા છીએ).
આવો જાણીએ આ યોજના કેવી રીતે કામ કરે છે…
- માની લો કે તમારે વડોદરાથી પૂના જવાનું છે.
- તમે આઇઆરસીટીસીની વેબસાઇટ પર ટિકિટ પર રિઝર્વેશન કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તમને જોઇતી તારીખે અને ટ્રેન માટે કન્ફર્મ ટિકિટ મળી નહીં.
- આમ છતાં તમે વેઇટિંગ લિસ્ટ સાથેની તમારી ટિકિટ બૂક કરાવી લીધી.
- હવે થશે એવું કે તમારી મુસાફરીના દિવસ સુધીમાં તમારી પહેલાં રિઝર્વેશન કરાવનાર લોકો પોતાનું રિઝર્વેશન કેન્સલ કરે નહીં તો તમે વેઇટિંગ લિસ્ટમાં જ રહી જશો.
- અત્યાર સુધી એવું થતું હતું કે કાં તો આપણે વેઇટિંગ લિસ્ટ જોઈને ટિકિટ બૂક કરાવીએ જ નહીં અથવા વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ બૂક કરાવ્યા પછી મુસાફરીનો દિવસ નજીક આવ્યા પછી પણ ટિકિટ કન્ફર્મ ન થાય તો આપણે રિઝર્વેશન કેન્સલ કરાવીએ.
- પરંતુ હવે વિકલ્પ યોજના હેઠળ એવું બનશે કે જ્યારે આપણી મુસાફરીના દિવસે ટ્રેનના ચાર્ટ તૈયાર થશે ત્યારે જો આપણી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હશે તો આપણને એક એસએમએસ મળશે જેમાં આપણને આપણી મૂળ ટ્રેન સિવાયની બીજી, એ જ સ્થળે જતી બીજી કોઈ ટ્રેન માટે જે કોચ અને બર્થ માટે રિઝર્વેશન ઉપલબ્ધ હોય તેની વિગતો આપવામાં આવશે.
- હવે આપણી પાસે બે વિકલ્પ છે. કાં તો આપણે એ વિકલ્પ મુજબ નવી ટ્રેનમાં નવા દિવસે મુસાફરી કરીએ અથવા સામાન્ય નિયમો મુજબ ટિકિટ કેન્સલ કરાવીને વળતર મેળવીએ.
- વિકલ્પ યોજના હેઠળ એવું બની શકે કે આપણે સ્લિપર ક્લાસ માટે રિઝર્વેશન કરાવ્યું હોય પણ નવી ટ્રેનમાં સેકન્ડ એસી ક્લાસ માટેની ટિકિટ મળે આવી સ્થિતિમાં આપણું કન્ફર્મ્ડ રિઝર્વેશન અપગ્રેડ કરવા માટે આપણે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી.
તેનાથી ઊંધી સ્થિતિમાં આપણે સેકન્ડ એસીમાં ટિકિટ બૂક કરાવી હોય અને વિકલ્પ યોજના હેઠળ નવી ટ્રેનમાં સેકન્ડ ક્લાસનું રિઝર્વેશન ઓફર કરવામાં આવે એવું પણ બની શકે છે. આવી સ્થિતિમાં આપણે આ વિકલ્પ સ્વીકારવા માટે એક વાર હા કહીને પછી એ નવી ટ્રેનમાં જો સેકન્ડ એસી કે થર્ડ એસીમાં ટિકિટ ઉપલબ્ધ હોય તો આપણી ટિકિટ તે માટેનો વધુ ચાર્જ ચૂકવીને અપડેટ કરાવી શકીએ છીએ.
એટલું ખાસ યાદ રાખવા જેવું છે કે, આપણી મૂળ ટ્રેન માટે ચાર્ટ તૈયાર થઈ ગયા પછી પણ આપણી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોય તો જ આપણને વિકલ્પની સુવિધા મળે છે અને એક વાર આ નવા વિકલ્પ માટે હા પાડ્યા પછી આપણે મૂળ ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી.
ભારતીય રેલવેએ ગયા વર્ષથી અમુક અમુક રૂટ પર આ યોજનાનો પ્રયોગ શરૂ કરી દીધો હતો અને હવે પહેલી એપ્રિલથી સમગ્ર ભારતમાં તેને રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે.
