બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ ઈ-મેગેઝીન રીડ ગુજરાતી પ્રકાશિત કરતા શ્રી મૃગેશભાઈ શાહે બહુ પ્રેમથી મારો બ્લોગ ખોલી આપ્યો અને એક નવી દુનિયામાં પ્રવેશ કર્યો.
બ્લોગને અમુક અંશે ઈ-સામયિક જેવું કહી શકાય, જેમાં કોઈ પોતાની જ રચનાઓ અને કોઈ બીજાઓની રચનાઓ પ્રકાશિત કરતા હોય. સમયાંતર બધાના જુદા જુદા હોય. શરુઆતમાં હું એમાં ક્યારેક ક્યારેક મારી રચનાઓ મૂકતી, પણ નિયમિત રીતે સક્રિય રહી શકતી નહીં. ક્યારેક બ્રેક એટલા લાંબા થઈ જતા કે આગળ પાછળના રેફરન્સ ભુલાઈ જાય. પછીથી હું એમાં નિયમિત બની. મારી રચનાઓ, ઉપરાંત જે મને ઉપયોગી લાગ્યું હોય, ગમ્યું હોય, જાણીતો પ્રયોગ કરું તો ગમતાંનો ગુલાલ… અલબત્ત, ધ્યેય મારી રચનાઓ બીજા લોકો સુધી પહોંચાડવાનું.
મારો બ્લોગ રીડસેતુ શરુ કર્યો ત્યારે એક બાળકને નવું રમકડું મળે એવો આનંદ હતો, હજીયે કંઈક એવું જ કહી શકાય. ભલે ઘણા દિવસોની પોસ્ટ એકસાથે મૂકી દઉં છું તોયે એ કામ સમય તો ખાય છે જ. ક્યારેક એમ પણ થાય કે આના કરતાં એટલો સમય નવું લખવામાં આપું તો વધારે સારું ન રહે? પણ હવે બ્લોગ જાણે વ્યસન થઈ ગયું છે. કોઈ માત્ર લાઇકનું બટન દબાવે તોય આનંદ તો થાય જ છે. પ્રજ્ઞાબહેન કે સુરેશભાઈ જેવા લોકોની ટિપ્પણી વાંચવી ચોક્કસ ગમે છે. આ સિવાય પણ બીજા લોકો કંઈક કંઈક કોમેન્ટ આપે એનાથીયે મનને સારું લાગે છે. પોતાના લખાણનો પ્રતિભાવ એક લેખકના જીવને જે આનંદ આપે એ જ આમાંથી પામું છું.
બ્લોગ દ્વારા હું શું પામી? ફટ દઈને કહી શકાય એવો જવાબ, વિશ્વના કયા કયા ખૂણે, કેવા કેવા મજાના લોકો સાથે પરિચય થયો!! જેમનો પરિચય બ્લોગ દ્વારા થયો એનું મોટું લિસ્ટ બને. અમેરિકાના બ્લોગર શ્રી સુરેશભાઈ કે કેરોથી પોતાનો બ્લોગ ચલાવતા મુર્તઝા પટેલ સાથે માત્ર પરિચય જ નહીં, સારી મિત્રતા પણ કેળવાઈ. ગુંજન સામયિકના શ્રી આનંદરાવ હવે ભારત આવે અને મળે નહીં એવું ન બને. આ પરિચયો માત્ર અને માત્ર બ્લોગ દ્વારા!! વાસંતી કે પેનભાઇ જેવા મિત્રોએ મદદ પણ કરી. બ્લોગવિશ્વમાં ન આવી હોત તો કદાચ આ કોઈને હું ઓળખતી ન હોત. જેમની સાથે બીજા માધ્યમો દ્વારા પરિચય થયો હતો એમને બ્લોગે વધુ જીવંત બનાવ્યો. આ ઉપરાંત મારું લખાણ વાંચી પ્રસંગોપાત કોમેન્ટ આપનારા તો અનેક!!
બ્લોગ દ્વારા વૈશ્વિક સંવાદની આખી દુનિયા મારી સમક્ષ ખૂલી ગઈ. બ્લોગમાં પોસ્ટ મૂકવી, લોકોના પ્રતિભાવને વધાવવા અને એ રીતે અંગત સંવેદનાનોય વિસ્તાર થયો. કોઈની ને કોઈની રચનાઓ પોતાના બ્લોગ પર મૂકતા રહેતા બ્લોગર પાસેથીયે ઘણી વાર કામની માહિતી મળી રહે છે અને તેઓ એ રીતે સાર્થક બની રહે છે. બ્લોગ વિશ્વની વ્યાપકતા અને અત્યંત સરળ ઉપલબ્ધિને કારણે સારા સારા લેખકો – પત્રકારો પણ હવે આ માધ્યમને પસંદ કરે છે.
હિમાંશુભાઈએ વિષય જરા અઘરો આપ્યો છે, પણ એ નિમિત્તે મને મારું આ કામ વધુ ઊંડાણથી વિચારવાનો મોકો મળ્યો. કોઈ પણ માનવી પોતાની ફરજો પ્રત્યે પૂરો સમર્પિત હોય કે ગમે એટલો વ્યસ્ત હોય, હળવાશની પળોની દરેકને જરૂર પડે છે. બ્લોગ માટેની તૈયારી કે પછી બ્લોગ દ્વારા થતું કોમ્યુનિકેશન, એ દ્વારા અનેક લોકો સાથે થતો સંવાદ, ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે મનના ખાલી ખૂણા ભરે છે. દરેક પળે, દરેક દિશામાં બાંધછોડ તો કરવી જ પડે છે (જાત સાથેય) એ જીવનનું સત્ય હવે દૃષ્ટિ સમક્ષ ઊઘડતું જ રહે છે અને મિત્રોની જરૂરિયાત પણ અવગણી નથી શકાતી; ત્યારે આ સાધનથી મળતી સુખની ક્ષણો ઝીલી લઉં છું. અલબત્ત, કોઈ પણ બાબત દરેક માટે, દરેક સંજોગોમાં લાગુ ન પાડી શકાય અને એય ખરું કે જીવનના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક ક્ષણમાં ભગવદગીતામાં પ્રયોજાયેલા શબ્દ વિવેકની સમજણ અને સતત સ્મરણ રહે, એ દૃષ્ટિ કેળવાય અને એનો અમલ થઈ શકે તો ક્યાંયથી પણ સારું પ્રાપ્ત કરવામાં અને નઠારું છોડી દેવામાં સહેજે તકલીફ ન પડે. શું બ્લોગ કે શું બીજું કંઈ પણ!!!
આપ સૌને મારા બ્લોગ રીડસેતુ http://readsetu.wordpress.com/“uની મુલાકાત લેવાનું આમંત્રણ છે. આભાર.

