સામાન્ય રીતે આપણે વિવિધ સર્વિસમાં ઓનલાઇન એકાઉન્ટને સલામત રાખવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરતા હોઇએ છીએ.
આ પદ્ધતિમાં કેટલાંક પ્રારંભિક સેટિંગ કર્યા પછી જ્યારે પણ આપણે એ સર્વિસમાં લોગ-ઇન કરવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણો પાસવર્ડ આપવા ઉપરાંત જુદી જુદી રીતે પોતાના મોબાઇલમાં વનટાઇમ પાસવર્ડ મેળવી શકીએ છીએ. તે આપીએ તો જ એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકાય છે.
આ પદ્ધતિને કારણે આપણો પાસવર્ડ ચોરાય તો પણ બીજી વ્યક્તિ માટે આપણા એકાઉન્ટમાં ઘૂસવું મુશ્કેલ બને છે. કારણ કે તેને આપણો બીજો વનટાઇમ પાસવર્ડ મળી શકતો નથી. આવો ઓટીપી આપણે એસએમએસ કે વોઇસકોલ દ્વારા મેળવી શકીએ છીએ. એ સિવાય રજિસ્ટર્ડ ફોનમાં ‘તમે લોગ-ઇન કરવા માગો છો?’ એવો સવાલ મેળવી શકીએ છીએ. આ સવાલના જવાબમાં હા કહીએ તો જ લોગ-ઇન થઈ શકાય.
એ ઉપરાંત ઓથેન્ટિકેટર એપ પણ હોય છે જેમાં નિશ્ચિત ટૂંકી સમયમર્યાદા માટે ઓટીપી જનરેટ થતો હોય છે. હવે માઇક્રોસોફ્ટના ડિરેકટર ઓફ આઇડેન્ટિટિ સિક્યોરિટીએ પણ ભલામણ કરી છે કે જ્યારે પણ યૂઝર ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરે ત્યારે તેમણે એસએમએસ કે વોઇસકોલવાળો વિકલ્પ ટાળવો જોઇએ. તેમના મતે ટેલિફોન નેટવર્ક આધારિત આ પદ્ધતિઓમાં મોકલવામાં આવતા ઓટીપી સહેલાઇથી આંતરી શકાય છે. ઓથેન્ટિકેટર એપ તરીકે ગૂગલ અને માઇક્રોસોફ્ટ બંને સારા વિકલ્પ આપે છે.
