ઓક્ટોબર ૧, ૨૦૨૦થી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ડિજિટલ પેમેન્ટને વધ સલામત બનાવવા માટે નવી ગાઇડલાઇન્સ અમલમાં મૂકવામાં આવી છે. આ ગાઇડલાઇન્સ પર ફટાફટ એક નજર ફેરવી લઈએ.
- તમામ નવા ડેબિટ, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરતી વખતે કે ફરીથી ઇસ્યુ કરતી વખતે તેમાં માત્ર ભારતમાંના એટીએમ તથા પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) ડિવાઇસિસમાં તેના ઉપયોગને ઇનેબલ્ડ રાખવામાં આવશે. એટલે કે ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ભારત બહાર ઉપયોગ થઈ શકશે નહીં.
- જો ડેબિટ, ક્રેડિટ કાર્ડનો ભારત બહાર ઉપયોગ કરવો હોય તો બેન્કને અલગ વિનંતી કરવી પડશે. અત્યાર સુધી મોટા ભાગની બેન્ક સમગ્ર વિશ્વમાં ઉપયોગ થઈ શકે એવા સેટિંગ સાથે કાર્ડ ઇસ્યુ કરતી હતી.
- હાલના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે તેને ઇસ્યુ કરનાર બેન્ક આ સ્થિતિ મુજબ કાર્ડનો ઉપયોગ ચાલુ રાખવો કે ડિસેબલ કરવો તે નક્કી કરી શકશે ઃ (૧) કાર્ડ વિના પેમેન્ટ (ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ) (૨) કાર્ડ સાથે પેમેન્ટ (ઇન્ટરનેશનલ) (૩) કોન્ટેકલેસ પેમેન્ટ
આરબીઆઇ દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો આપણને વિવિધ પ્રકારના ફ્રોડથી બચાવવા માટે તૈયાર થયેલા છે.
- ઇસ્યુ થયા પછી જેનો ક્યારેય ભારતમાં કે વિદેશમાં ઓનલાઇન અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે ઉપયોગ થયો ન હોય એવાં તમામ ડેબિટ, ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન પેમેન્ટનો વિકલ્પ બંધ કરી દેવામાં આવશે.
- હવે લોકો કાર્ડ એક્ટિવ રાખવું કે ડિસેબલ કરવું, તેનાથી પેમેન્ટ કે ખર્ચની લિમિટ નક્કી કરવી, ઓનલાઇન, ઇન્ટરનેશનલ અને કોન્ટેક્ટલેસ ટ્રાન્ઝેકશન ચાલુ રાખવું કે બંધ કરવું કે તે જાતે નક્કી કરી શકશે.
- હવેથી લોકો ગમે ત્યારે મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ કે પછી ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઇવીઆર) જેવી કોઈ પણ સુવિધાનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેકશન ઓન કે ઓફ કરી શકશે અથવા તેની લિમિટ્સ બદલી શકશે.
- હવે સંખ્યાબંધ બેન્ક ‘નિયર ફિલ્ડ કમ્યુનિકેશન’ (એનએફસી) ટેકનોલોજીવાળાં કાર્ડ ઇસ્યુ કરે છે. કોન્ટેક્ટલેસ કાર્ડ તરીકે ઓળખાતા આ કાર્ડથી પેમેન્ટ કરવા માટે તેને મશીનમાં સ્વાઇપ કરવાની કે ઇન્સર્ટ કરવાની જરૂર હોતી નથી. કાર્ડધારક આ ફીચર ઓન રાખવું કે નહીં તે નક્કી કરી શકશે.
- કાર્ડધારક ડેબિટ અને ક્રેડિટ બંને પ્રકારના કાર્ડ માટે ટ્રાન્ઝેકશન લિમિટ નક્કી કરી શકશે.
- આ નવાં ધોરણો માત્ર ડેબિટ અને ક્રેડિટ કાર્ડને લાગુ પડે છે. પ્રિપેઇડ ગિફ્ટ કાર્ડ કે પછી મેટ્રો ટ્રેન કે જનમાર્ગ જેવી સુવિધાઓ માટેનાં પેમેન્ટ કાર્ડ આમાં આવરી લેવાયાં નથી.
આ નિયમો, આપણાં નાણાંની સલામતી માટે જ છે!
