દુનિયાના અનેક દેશોની જેમ ભારતમાં પણ આપણા સૌ વિશે ગવર્નમેન્ટ એજન્સીઝ જુદી જુદી ઘણી રીતે ડેટા એકઠો કરતી રહે છે. સામાન્ય રીતે ત્રાસવાદ તથા રાષ્ટ્રની સલામતી સામેનાં અન્ય જોખમોની સમયસર બાતમી મેળવવા તથા તેનો સામનો કરવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે.
ભારતમાં ટેલિકમ્યુનિકેશન, બેન્કિંગ, એરલાઇન્સ વગેરે જુદા જુદા ૨૧થી વધુ ક્ષેત્રોમાંથી પણ આ રીતે ડેટા મેળવવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી આ બધો ડેટા એકમેક સાથે કનેક્ટેડ નહોતો. હવે ‘નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ (નેટગ્રિડ)’ નામની એક વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે, જેમાં ભારત સરકારની વિવિધ સલામતી એજન્સી માટે સમગ્ર ડેટાને એકમેક સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા પછી આ વિચાર અમલમાં મૂકાયો હતો. નેટગ્રિડ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. લાંબા ગાળે તેમાં એક હજારથી વધુ સંસ્થાઓનો ડેટા કનેક્ટ કરવામાં આવશે.
