વોટ્સએપમાં અપમાનજનક, વાંધાજનક, બદનક્ષીભર્યા ધમકીભર્યા કે બિભત્સ મેસેજીસ આવે તો હવે તેનો સામનો કરવા માટે સરકારની મદદ લઈ શકાશે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (ડોટ)ના જણાવ્યા અનુસાર, વોટ્સએપમાં આવા મેસેજ મેળવનારી વ્યક્તિ તેના ફોનનંબર સાથેના સ્ક્રીનશોટ લઈને ccaddn-dot@nic.in પર મોકલી શકે છે. ત્યાર પછી ડિપાર્ટમેન્ટ જે તે ટેલિકોમ ઓપરેટર્સ અને પોલીસની મદદથી આગળનાં પગલાં લેશે.
પુલવામામાં ભારતીય જવાનો પર ત્રાસવાદીઓના હુમલા પછી કેટલાક પત્રકારો પર વાંધાજનક મેસેજીસનો મારો શરૂ થયા પછી આ પગલું લેવામાં આવ્યું છે.
મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઝને તેમના નેટવર્ક પર કોઈ પણ રીતે વાંધાજનક, અશ્લીલ કે બિનઅધિકૃત સામગ્રીના પ્રસાર પર મનાઈ સાથે જ લાઇસન્સ આપવામાં આવ્યું હોવાથી, ડોટના આદેશના પગલે આવી કંપનીએ પોતાના કસ્ટમર સામે ફરજિયાત પગલાં લેવાં પડશે.
અખબારોમાં સરકારી અધિકારોઓને ટાંકીને આ સમાચાર આવ્યા છે. અલબત્ત, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સની વેબસાઇટ પર હજી આ વિશે કોઈ માહિતી જોવા મળી નથી. એ જ રીતે, અન્ય સોશિયલ મીડિયા માટે શું એની કોઈ સ્પષ્ટતા નથી.

