વર્તમાન કેન્દ્ર સરકારે એક વર્ષ પૂરું કર્યું. ભારતીય સંસદની ઇમારતમાં સુશાસન અને સારા શાસકો વિશે કેટલાંક સુવાક્યો અંકિત છે, જે આપણે આશા રાખીએ કે અહીં એક વર્ષથી હાજરી આપી રહેલા આપણા નવા પ્રતિનિધિઓએ જરુર વાંચ્યાં હશે!
દ્વાર ખોલી નાખો, લોકોના હિતની કરાવી દો ઝાંખી, જેથી અહીં પ્રાપ્ત થઈ જાય સાર્વભૌમ પ્રભુતા.
(મુખ્ય દ્વાર પર, મૂળ સંસ્કૃતમાં)
ખુદાએ આજ સુધી એ કોમની હાલત બદલી નથી,
જેને પોતાની હાલત બદલવાની પરવા જ ન હોય.
(સેન્ટ્રલ હોલના ગુંબજ પર, મૂળ અરબીમાં)
પોતાના માટે, પોતાના વિશે વિચારવું એ સંકુચિત વિચાર છે.
ઉદાર આશયો માટે અખિલ વિશ્વ પરિવાર છે.
(કેન્દ્રીય ખંડ તરફની દીવાલ પર, મૂળ પંચતંત્રનો સંસ્કૃત શ્ર્લોક)
એ સભા નથી, જેમાં વૃદ્ધો ન હોય,
એ વૃદ્ધ નથી, જે ધર્મ અનુસાર બોલે નહીં,
જ્યાં સત્ય ન હોય ત્યાં ધર્મ નથી,
જેમાં છળ હોય તે સત્ય નથી.
(લિફ્ટ ૧ પાસે, મૂળ મહાભારતનો સંસ્કૃત શ્લોક)
કોઈ વ્યક્તિ કાં તો સભામાં પ્રવેશ જ ન કરે,
અથવા કરે તો પછી તેણે ત્યાં ધર્મ અનુસાર બોલવું જોઈએ,
કેમ કે ન બોલવાવાળા અથવા અસત્ય બોલવાવાળા મનુષ્ય બંને સમાન પે પાપના ભાગીદાર હોય છે.
(લિફ્ટ ૨ પાસે, મૂળ સંસ્કૃત સુભાષિત)
પ્રાણીઓ પર દયા અને તેમની સાથે મૈત્રીભાવ, દાનશીલતા તથા મધુ વાણી,
આ બધાનું સંયોજન એક વ્યક્તિમાં, ત્રણેય લોકમાં મળતું નથી.
(લિફ્ટ ૩ પાસે, મૂળ સંસ્કૃત સુક્તિ)
શાસક હંમેશા બુદ્ધિમાન હોવો જોઈએ, પરંતુ તેણે સ્વેચ્છાચારી
ક્યારેય ન બનવું જોઈએ, તેણે બધી વાતોમાં મંત્રીઓની
સલાહ લેવી જોઈએ, સભામાં બેસવું જોઈએ અને શુભ મંત્રણા અનુસાર ચાલવું જોઈએ.
(લિફ્ટ ૪ પાસે, મૂળ સંસ્કૃત શ્લોક)
આ ગૌરવપૂર્ણ મણી સમાન ભવનમાં આ સુવર્ણ અક્ષર અંકિત છે.
દાનશીલોનાં શુભ કામો સિવાય, કશું જ શાશ્વત રહેશે નહીં!
(લિફ્ટ ૫ પાસે, મૂળ ફારસીમાં)

