રેલવે રિઝર્વેશનની સુવિધા આપતી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની સાઇટ હવે બદલાઈ ગઈ છે. નવી સાઇટમાં યૂઝર ઇન્ટરફેસની દૃષ્ટિએ તો દેખીતા સુધારા છે જ, પરંતુ સૌથી નોંધપાત્ર ફીચર પહેલી નજરે આપણા ધ્યાનમાં ન આવે તેવું છે.
આ ફીચર છે આપણી વેઇટ લિસ્ટિંગમાંની ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે એ સૂચવતું સોફ્ટવેર. અન્ય ખાનગી કંપનીઓની સાઇટ પર આ ફીચર ઘણા સમયથી છે પરંતુ ભારતીય રેલવેનો દાવો છે કે આઈઆરસીટીસીની સાઇટ પરનું ફીચર વધુ સચોટ પરિણામ આપશે કેમ કે તેની પાસે સૌથી વધુ ડેટા હોય છે. સાઇટ પરનો બીજો નોંધપાત્ર ફેરફાર એ છે કે હવે આપણે અલગ અલગ સ્ટેશન વચ્ચેની ટ્રેન અને તેમાં ટિકિટ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસવા માટે લોગઇન થવું જરૂરી રહ્યું નથી.
