અખબાર ‘ધ હિન્દુ’ના એક અહેવાલ ઉસાર, ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ૨૩૭ ટ્રેન અકસ્માતો થયા, જેમાં ૧૫૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ૪૫૦ લોકોને ઇજા થઈ.
અકસ્માતોનું આ પ્રમાણ તો જ ઘટાડી શકાય, જો દરેક અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. ત્રાસવાદી ભાંગભોડ, માનવીય ભૂલ, રેલવે સ્ટાફની ભૂલ, મટિરિયલની ખામી, સિગ્નલ જેવી ટેક્નોલોજીમાં ખામી વગેરે જુદાં જુદાં ઘણાં કારણોસર અકસ્માત સર્જાઈ શકે છે. રેલવે તંત્રનો અનુભવ છે કે અકસ્માત પછી શક્ય એટલી ઝડપે રાહત અને બચાવ કામગીરી કરવા જતાં ઘણી વાર, અકસ્માતનાં કારણ જાણી શકાય એવા પુરાવા નાશ પામતા હોય છે.આ કારણે, ભારતીય રેલવેના ઇતિહાસમાં પહેલી વાર રેલવે તંત્ર અકસ્માત પછી અકસ્માત સ્થળની તરતની સ્થિતિની વીડિયોગ્રાફી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે.
કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ટ્રેનનાં સલામત ઓપરેશન્સ માટે ઘણાં પગલાં સૂચવ્યાં છે અને તેમાંનું એક આ છે. ચેન્નાઈ ખાતેની મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)એ આ પ્રકારનાં ડ્રોન વિક્સાવ્યાં છે. રેલવે અકસ્માત સમયે, રાહત દળો સ્થળે પહોંચે તે પહેલાં આ ખાસ ડ્રોન પહોંચી જશે અને અકસ્માત સમયની સ્થિતિની વીડિયોગ્રાફી કરી લેશે.

